ભવનાથ પાજનાકા પુલ પર કાર ડિવાઇડર સાથે ટકરાતા કારનો બુકડો બોલી ગયો
ભવનાથ પાજનાકા પુલ પર કાર ડિવાઇડર સાથે ટકરાતા કારનો બુકડો બોલી ગયો
July 25, 2026 09:41 AM
જૂનાગઢમાં ભવનાથ પાજ નાકા પુલ પર ગુરુવારે રાત્રે સોનાપુરી થી ભવનાથ તરફ જતી વખતે સ્કોર્પીયો કાર ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તેથી મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઈટનો પોલ તૂટી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર રીતે થયો કે કારનો ભૂકકો થઈ ગયો હતો. કારની દિશા પણ બદલી ગઈ હતી. ડિવાઇડર ના પથ્થર પણ રોડ પર વિખેરાઈ ગયા હતા. ઘટના બાદ ભવનાથ પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને અકસ્માત કેવી રીતે થયો તે અંગે તપાસ શરૂ કરી છે. કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. જોકે નંબર પરથી પોલીસ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેતી હોય છે પરંતુ ભવનાથ વિસ્તારમાં થયેલ અકસ્માત બાદ હજુ સુધી કારચાલકની ઓળખ થઈ નથી. ઘટના થઈ તે સમયે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.અકસ્માત થયા બાદ કારચાલક ઇજાગ્રસ્ત થયો અને સારવાર હેઠળ છે કે ભૂગર્ભમાં ઉતરી ગયો તે અંગે પણ અનેક સવાલો સર્જાયા છે.સમગ્ર અકસ્માતની ઘટનામાં કાર મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના પોલ સાથે અથડાતા પોલ પણ તૂટી ગયો હતો અને તેને નુકસાન થયું હતું. જેથી મહાનગરપાલિકા સ્ટ્રીટ લાઈટ શાખા અધિકારી હાજાભાઇ ચુડાસમાએ રૂ.૪૫ હજારનું નુકસાન કર્યા અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભવનાથ પોલીસે ગુનો નોંધી કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.