સરધારના પૂર્વ ઉપસરપંચની વાડીમાં ત્રિકમના ઘા ઝીંકી હત્યા, નાસી ગયેલા મજુરનું લોકેશન અમદાવાદ મળતા ટીમ દોડાવાઈ

  • May 23, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરધારમાં રહેતા ગામના પૂર્વ ઉપસરપંચ ગામની સીમમાં ગોંડલ રોડ પર આવેલી પોતાની વાડીએ હતા. દરમિયાન ત્રીકમના ઘા ઝીંકી તેમની ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. સવારે ખાટલામાં પૂર્વ ઉપસરપંચનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે અહીં દોડી ગયો હતો. હત્યાના આ બનાવ બાદ અહીં વાડીએ ખેતમજૂરી કામ કરનાર એમ.પી.નો મજુર ભેદી સંજોગોમાં લાપતા હોય પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.


હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે આવેલા સરધાર ગામની સીમમાં ગોંડલ રોડ પર આવેલી વાડીએ સરધારમાં રહેતા અને અગાઉ ઉપસરપંચ તરીકે સેવા આપનાર હરેશભાઈ મોહનભાઈ સાવલિયા (ઉ.વ 52) નામના પ્રૌઢનો વાડીએ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજા સહિતનો પોલીસ કાફલો અહીં સરધાર દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.


હત્યાના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, હરેશભાઈ સાવલિયા અગાઉ સરધારમાં ઉપસરપંચ હતા તેમજ તેઓ સરધાર સહકારી મંડળીમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. રાત્રિના તેઓ અહીં ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે નિંદ્રાધિન અવસ્થામાં જ કોઈએ ત્રીકમના ઘા ઝીંકી તેમની ઘાતકી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.


વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, હત્યાના આ બનાવ બાદ અહીં વાડીએ ખેત મજૂરીનું કામ કરનાર રાજસ્થાની શખસ ભેદી સંજોગોમાં લાપતા હોય જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.


મૃતક હરેશભાઇના નાનાભાઈ ચંદુભાઈ સાવલિયાના જણાવ્યા અનુસાર હરેશભાઇ અગાઉ સરધારના ઉપસરપંચ તરીકે સેવા આપી ચુક્યા છે. હાલ તેઓ સરધાર સહકારી મંડળીના ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ ત્રણ ભાઈઓના મોટા હતા. પરસોતમભાઈ વચેટ અને ચંદુભાઈ સૌથી નાના છે. હરેશભાઇને સંતાનમાં 30 વર્ષીય અને 28 વર્ષીય એમ બે પુત્રો છે જે બંને પરિણીત છે. વધુમાં ચંદુભાઈએ જણાવ્યું હતું કે, પાડોશમાં વાડી ધરાવતા લાલભાઈ સવારે સાત વાગ્યાં આસપાસ અમારી વાડીએ ખેત ઓજાર લેવા પહોંચ્યા હતા. જ્યા મોટાભાઈ ખાટલા પર લોહીલુહાણ હાલતમાં મળતા તેમણે મને ફોન કરીને બનાવની જાણ કરી હતી.


ચંદુભાઈએ જણાવ્યું હતું કે, વાડી ખાતે સામાન્ય રીતે 25 થી 30 મજૂરો કામ કરતા હતા. જે લોકો તેમના વતનમાં પ્રસંગ અર્થે ગયા છે. હાલ મધ્યપ્રદેશના મજુર પિતા-પુત્ર વાડી ખાતે રહીને ખેત મજૂરી કરતા હતા. દરમિયાન મજુર મનોજના પિતા પણ થોડા દિવસો પૂર્વે ગોંડલ ખાતે તેમની પુત્રી રહેતી હોય ત્યાં જતાં રહ્યા હતા. જેથી વાડી ખાતે મનોજ નામનો એક જ મજુર ગઈકાલે રાત્રે હાજર હતો. આજે સવારે હરેશભાઇનો જ્યારે મૃતદેહ મળ્યો હતો ત્યારે મનોજ ભેદી રીતે ગુમ હોવાથી તેનું લોકેશન ચેક કરાવતા લોકેશન અમદાવાદ તરફનું મળી આવ્યું હોય જેથી મનોજે જ વાડી ખાતે રાખેલ ત્રિકમના ઘાં ઝીંકી હરેશભાઇની કરપીણ હત્યા નીપજાવી દીધાની પ્રબળ આશંકા છે.


નાસી ગયેલા મજુરનું લોકેશન અમદાવાદ મળતા ટીમ દોડાવાઇ

મૃતક હરેશભાઇના ભાઈ ચંદુભાઈના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે વાડી ખાતે મધ્યપ્રદેશનનો મજુર મનોજ એકલો જ હાજર હતો. સવારે ભાઈનો મૃતદેહ મળી આવતા મનોજની તપાસ કરાવતા તેનું લોકેશન અમદાવાદ તરફનું મળી આવ્યું હતું. જેથી પોલીસની ટીમોને અમદાવાદ તરફ દોડાવવામાં આવી છે. આજે સાંજ સુધીમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application