કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને બુધવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સોનિયા ગાંધીને ગઈકાલે રાત્રે 10:22 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત હાલમાં સ્થિર હોવાનું જણાવાયું છે. ડોકટરો પેટ અને યુરીનરી ઇન્ફેકશનની તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેને આંખની તકલીફ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ દરમિયાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ હોસ્પિટલમાં પહોંચ્યા. તેમણે તેમની માતાની તબિયતને કારણે કેરળની તેમની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી.
રાહુલ ગાંધીએ કોઝિકોડમાં એક રેલીને વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું. તેમણે કહ્યું, હું અહીં આવવા માંગતો હતો, પરંતુ મારે દિલ્હીમાં જ રહેવું પડ્યું કારણ કે મારી માતા હોસ્પિટલમાં દાખલ છે. એક પુત્ર તરીકે, હું ખૂબ જ ચિંતિત હતો.
કોંગ્રેસના સાંસદે વધુમાં કહ્યું, મને વિશ્વાસ છે કે કેરળના લોકો સમજી જશે. હું આખી રાત મારી માતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતો. આ સમય દરમિયાન, મને સૌથી વધુ આરામ કેરળની એક નર્સના કારણે મળ્યો જે મારી માતાની તપાસ કરવા માટે દર કલાકે આવતી હતી.