ફરાર આરોપીઓને પકડવા ડ્રાઈવ: છ ઝડપાયા

  • May 23, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હોય જેના ભાગરૂપે પોલીસે ડ્રગ્સ, દારૂ, છેતરપિંડી, મારામારી અને સજાના વોરંટમાં નાસતા ફરતા કુલ છ આરોપીઓને ઝડપી લીધા હતા.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના માર્ગદર્શનમાં શહેરમાં અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે તા. 21/5/2025 થી 31/ 5/ 2025 સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્કોવર્ડ, થોરાળા પોલીસ સહિતની ટીમોએ નાસતા ફરતા છ આરોપીઓને ઝડપી લીધા હતા.


ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એસ.વી. ચુડાસમા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ પોપટભાઈ ગમારા, સંજયભાઈ અલગોતર અને રામશીભાઈ કાળોતરાને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી ચંદ્રસિંહ ટીનુભા રણજીતસિંહ ઉર્ફે બાલુભા સોલંકી (ઉ.વ 40 રહે. દેકાવાડા તા દેત્રોજ જી. અમદાવાદ) ને ઝડપી લીધો હતો. આરોપી સામે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા સહિતના પોલીસ સ્ટેશનમાં મળી દારૂ સહિતના 11 ગુના નોંધાઇ ચૂક્યા છે.


ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એમ.કે. મોવાળીયા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા, પ્રતિકસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 59.95 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કે જેની કિંમત 5.89 લાખ હતી. તે ગુનામાં 7 માસથી નાસતા ફરતા આરોપી વજીદખાન ઉર્ફે વાજીદ ઉર્ફે પીંડારી અબ્દુલ વહીદ ફકીર મોહમ્મદ શેખ (ઉ.વ 24 રહે. સમા સોસાયટી, વેજલપર, અમદાવાદ) ને ઝડપી લીધો હતો. આરોપી સામે અગાઉ અમદાવાદમાં ચોરી, જાહેરનામા ભંગ સહિતના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે અને એક વખત તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચુક્યો છે.


થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા,વિક્રાંતભાઇ કુમારખાણીયાને મળેલી બાતમીના આધારે સજાના વોરંટમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી હરસુખ ગોવિંદભાઈ માલણ (રહે. કનકનગર શેરી નંબર 9/11 નો ખૂણો, સંત કબીર રોડ) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


પેરોલ ફર્લો સ્કોવર્ડના પી.આઈ બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે તપાસમાં હતી. દરમિયાન સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી- વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપી દિલીપ ચંદુભાઈ સોલંકી(ઉ.વ 25 રહે. ઇસ્કોન મંદિર પાછળ,પરિવાર સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ, મૂળ બોરવિયાળી તા. ભેસાણ) ને રાજકોટ થી ઝડપી લીધો હતો. જ્યારે આ ટીમે અન્ય એક કામગીરીમાં સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, મારામારી તથા ધમકીના ગુનામાં ચાર મહિનાથી નાસતા ફરતા બે આરોપીઓ મયુરસિંહ ઈશ્વરસિંહ સોલંકી (ઉ.વ 31 રહે. શાંતિવન રેસીડેન્સી રેલનગર) અને બીલાલ દિલાવરભાઈ ઉઠામણા (ઉ.વ 25 રહે. દૂધસાગર રોડ હૈદરી ચોક પાસે, ભગવતી સોસાયટી રાજકોટ) ને રાજકોટમાંથી ઝડપી લઇ કામરેજ પોલીસ સ્ટેશન હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં એ.એસ.આઈ અમૃતભાઈ મકવાણા, જહીરભાઈ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ સામંતભાઈ ગઢવી, રાજદીપસિંહ ચૌહાણ, સિરાજભાઈ ચાનિયા, રોહિતભાઈ કછોટ, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મૂળિયા અને દોલતસિંહ રાઠોડ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application