વિસાવદરના ખંભાળિયા(ઓઝત)ના સરપંચના પતિની પાઇપ ફટકારી હત્યા

  • April 14, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર તાલુકાના ખંભાળિયા(ઓઝત) ગામે મહિના પૂર્વે ગામના મહિલા સરપંચના પતિ પર અહીં ગામમાં જ રહેતા શખસે પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રથમ વિસાવદર બાદમાં જુનાગઢ અને ત્યારબાદ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન આધેડનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે. આરોપી ગામમાં ઝઘડા કરતો હોય તેને આંગણવાડી સ્થિત મકાન ખાલી કરવાનું કહેતા આ બાબતનો ખાર રાખી સરપંચના પતિ પર હુમલો કર્યો હતો.



બનાવ અંગે ગત તા. 15/3 ના રોજ અરવિંદભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ 48 રહે. ખંભાળિયા (ઓઝત તા. વિસાવદર) દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કિશોર ઉર્ફે ભાણો હરિભાઈ માલણીયા (રહે ખંભાળિયા તા. વિસાવદર) નું નામ આપ્યું હતું.



ફરિયાદમાં અરવિંદભાઈ જણાવ્યું હતું કે તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને તેમના પત્ની કાંતાબેન છેલ્લા ત્રણ વર્ષથી ખંભાળિયા ગામમાં સરપંચ તરીકે સેવા આપે છે. ગત તા.15/3 ના સાંજના તેઓ ગામના પાદરમાં રોડ પર રાધે પાન નામની દુકાને આઠેક વાગ્યે આસપાસ નીકળ્યા હતા ત્યારે એની દુકાને કેટલાક લોકો ઊભા હોય અને અવાજ કરતા તેઓ બાઈક લઇ ગયા હતા. ત્યારે અહીં ગામમાં છેલ્લા ચારેક મહિનાથી રહેવા આવેલ કિશોર ઉર્ફે ભાણો ત્યાં ઉભો હોય અને દુકાનવાળા સાથે માથાકૂટ કરતો હતો.



જેથી અરવિંદભાઈએ તેને ઠપકો આપ્યો હતો આ કિશોરને અરવિંદભાઈએ ગામની આંગણવાડીમાં રહેવા માટે આશરો આપ્યો હોય જે આંગણવાડીનું મકાન ખાલી કરીને જતું રહેવાનું કહ્યું હતું. બાદમાં અરવિંદભાઈ બાઇક લઈને જોતા હતા ત્યારે અને આંગણવાડી પાસે કિશોર પાઇપ લઈને ઊભો હોય અને તેમના પર આ પાઇપ વડે હુમલો કરી તેમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગ પર ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી તેમને 108 મારફત સારવાર માટે જય અંબે હોસ્પિટલ ચાંપરડા ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ તેમણે આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કિશોર ઉર્ફે ભાણો પાનની દુકાને બોલાચાલી કરતો હોય તેને ઠપકો આપી આંગણવાડીનું મકાન ખાલી કરવાનું કહેતા જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી આ બાબતનો ખાર રાખી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

હુમલામાં ઘવાયેલા અરવિંદભાઈને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની તબિયત વધુ બગડતા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા અહીં ગઈકાલ સમી સાંજના સારવાર દરમિયાન અરવિંદભાઈ દમ તોડી જતા બનાવ હત્યામાં પલટાયો હતો.અરવિંદભાઈ ત્રણ ભાઈ બે બહેનના પરિવારમાં મોટા હતા.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપી કિશોર ઉર્ફે ભાણા સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application