રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે, ગઇકાલે ભીમ અગિયારસના શુકન પણ સચવાયા નથી ત્યારે હવે મેઘરાજા ક્યારે પધરામણી કરશે તેની ચિંતા વચ્ચે ખેડૂતોએ ઉનાળુ ઉત્પાદનો તેમજ સંગ્રહેલો જથ્થો બજારમાં ઠાલવ્યો છે. સામાન્ય રીતે જૂન મહિનાના પ્રારંભે પ્રિમોન્સુન એક્ટીવિટી શરૂ થાય ત્યારથી જ યાર્ડમાં ઓફ સીઝન હોય છે પરંતુ વરસાદ ખેંચાવાના કારણે
હાલ યાર્ડમાં સીઝન જેવી આવકો થઇ રહી છે. રાજકોટ યાર્ડમાં આજે ૧૦૫૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી જેમાં સૌથી વધુ ૩૪ હજાર મણ તલની આવક નોંધાઇ હતી.
વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વર્તુળોએ જણાવ્યું હતું કે આજે યાર્ડમાં થયેલી વિવિધ જણસીઓની આવકમાં ૨૧ હજાર મણ સફેદ તલ, ૧૩ હજાર મણ કાળા તલ, પાંચ હજાર મણ મગ, ૮૩૦૦ મણ સિંગફાડા અને સિંગદાણા, ૩૪૦૦ મણ એરંડા, ૧૭૫૦૦ મણ ઘઉં, ૯૫૦૦ મણ ચણા, ૬૫૦૦ મણ વટાણા, ૨૫૦૦ મણ તુવેર, ૩૭૦૦ મણ જીરૂ, ૪૧૦૦ મણ લસણ, ૩૦૦૦ મણ મગફળી, ૧૭૦૦ મણ કલોંજી, ૩૦૦૦ મણ કપાસ સહિતની આવક થઇ હતી. જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી.
રાજકોટ માર્કેટ યાર્ડમાં ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી ખેડૂતોને લાગુ પડતી રજાઓ સિવાયની મોટા ભાગની જાહેર રજાઓ રદ કરવામાં આવી હોય આજે જાહેર રજા હોવા છતાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું.