રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા વસ્તી ગણતરી માટેનો તાલીમ વર્ગ શરૂ
રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા વસ્તી ગણતરી માટેનો તાલીમ વર્ગ શરૂ
May 18, 2026 02:28 PM
રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરી શરૂ થનાર છે ત્યારે આ કામગીરીમાં નિમણૂક પામેલા કર્મચારીઓ માટેનો તાલીમ વર્ગ તાલુકા મામલતદારના માર્ગદર્શન હેઠળ શરૂ થયો છે. એક દિવસ પહેલા શરૂ થયેલો વર્ગ આવનારી તારીખ ૨૫ મે સુધી ચાલુ રહેશે. તાલીમ વર્ગ પૂર્ણ થતાની સાથે જ વસ્તી ગણતરી અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ૧ જૂનથી વસ્તી ગણતરી માટેની કામગીરી હાથ ધરવામાં આવનારી છે ત્યારે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ તાલુકા મામલતદાર કીર્તિ કુમાર મકવાણા દ્વારા વસ્તી ગણતરીમાં ભાગ લેનારા કર્મચારીઓને તાલીમ આપતો વર્ગ શરૂ કરી દેવાયો છે. આ તાલીમ વર્ગ રાજકોટ શહેર પ્રાંત ૧ના ટ્રેનિંગ હોલ ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી વસ્તી ગણતરીની કામગીરી સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે. બે દિવસ પહેલા શરૂ થયેલો વર્ગ આવનારી તારીખ ૨૫ મે સુધી ચાલનાર છે ત્યારે આ તાલીમ વર્ગમાં ૩૩૫ શિક્ષકો અને ૬૦ જેટલા સુપરવાઈઝર જોડાયા છે. આ વર્ગ પૂર્ણ થતાની સાથે જ તાલીમ મેળવેલા કર્મચારીઓ સત્વરે વસ્તી ગણતરી માટેની કામગીરીમાં લાગી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વ ગણના અંતર્ગત એક વેબસાઈટ જાહેર કરવામાં આવી છે. જેમાં કોઈપણ નાગરિક જરૂરી વિગતો ભરી વસ્તી ગણતરીમાં સ્વેચ્છાએ સહકાર આપી શકે છે. આ પ્રકારની નોંધણી માટે દરેક નાગરિકને ૩૧ મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ ૧ જૂનથી સરકારી કર્મચારીઓ વસ્તી ગણતરી માટે ઘર ઘર સંપર્ક કરી કામગીરી શરૂ કરી દેશે.