વિસાવદરમાં ભાજપની જીત સામે પ્રશ્નાર્થ

  • June 06, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
નૈષધ કારીયા

પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના ગઢ સમાન ગણાતી ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક પર આગામી તારીખ 19 ના રોજ ચૂંટણી યોજવાની છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવારો અને અપક્ષો સહિત 16 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીનો ખરો જંગ તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. પરંતુ આમ છતાં કોણ જીતશે? અને કોણ હારશે ?તે સવાલ આજકાલ સમગ્ર વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં પૂછાઇ રહ્યો છે. અત્યારની સ્થિતિ મુજબ તો વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર બની ગઈ છે.

આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતે તો ગુજરાતમાં તેનું શાસન આવે તેમ નથી. ભાજપના ઉમેદવાર હારે તો તેને શાસન ગુમાવવું પડે તેમ નથી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે તો પણ સત્તાના અને શાસનમાં કોઈ પ્રકારનો ફેર પડે તેમ નથી. આમ છતાં અત્યંત હાઇ પ્રોફાઈલ બની ગયેલી વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડી નાના મોટા કાર્યકરો સૌ કોઈ ચૂંટણી જંગ જીતવામાં લાગી ગયા છે.

કોઈપણ પક્ષના ઉમેદવારની હાર જીતથી સત્તાના સમીકરણમાં કોઈ મોટો ફેરફાર થતો ન હોવા છતાં શા માટે આ ચૂંટણી હાઈ પ્રોફાઈલ બની ગઈ છે? અને મતદારો કોને વિજેતા બનાવશે ?તેવા સવાલના જવાબ મેળવતા પહેલા એ વાત બરાબર જાણી લેવી જોઈએ કે આ બેઠક પર 1995 થી 2007 સુધીની તમામ ચાર ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું હતું 2012 માં કેશુભાઈ પટેલ આ બેઠક પરથી જીપીપી ની ટિકિટ પર ઉભા રહીને ચૂંટાયા હતા પરંતુ છેલ્લી ત્રણ ચૂંટણીની વાત કરીએ તો 2014,2017 માં કોંગ્રેસના ઉમેદવારને અને 2022 માં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મતદારોએ ચુંટી કાઢ્યા હતા. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યો પોતાની પાર્ટી છોડીને ભાજપમાં ભળી જતા મતદારોએ ભાજપની વિરોધમાં આપેલો ચુકાદો અંતે તો ભાજપના જ ફાયદામાં રહ્યો હોય અને લોક ચુકાદાને મારી મચકોડીને પોતાની તરફ કરાયો હોવાની વ્યાપક ચર્ચા આ બેઠક પર જોવા મળે છે. આ મામલે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય સરખા હોવાથી હવે મતદારો શું કરે છે? તે જોવાનું રહેશે.

2014 અને 2017 માં આ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના હર્ષદ રીબડીયા અને 2022 માં આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટાયેલા ભુપતભાઈ ભાયાણી ભાજપમાં ભળી ગયા બાદ આ બેમાંથી કોઈ એકને ટિકિટ મળશે તેવી વાતો હતી. પરંતુ ભાજપે આશ્ચર્યજનક રીતે બંને પક્ષપલટુઓને સાઈડ લાઈન કરીને ફોર્મ ભરવાના દિવસે છેલ્લી ઘડીએ જુનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલના નામની જાહેરાત કરી દીધી છે.

ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો તો સામનો કરવાનો છે જ. પરંતુ સાથો સાથ ટિકિટથી વંચિત રહી ગયેલા હર્ષદભાઈ રીબડીયા અને ભુપતભાઈ ભાયાણી શું કરે છે તે પણ જોવાનું રહેશે? આ વિસ્તારમાં જેમનું જોરદાર રાજકીય પ્રભુત્વ છે તેવા પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા પણ પ્રચારના મામલે શું કરે છે? તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.

ચુંટણી સોગંદનામામાં દર્શાવાયેલી વિગત મુજબ 31 કરોડના આસામી ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલની સંપત્તિમાં 2017 પછી રુ. 10 કરોડ જેટલો વધારો થયો છે. બીજી બાજુ ટેકાના ભાવે સરકારે મગફળીની ખરીદી કરી ત્યારે બહારના રાજ્યમાંથી ઓછા ભાવે મગફળી ખરીદી રાજ્ય સરકારને ઊંચા ભાવે મગફળી ટેકાના ભાવે વેચી હોવાના આક્ષેપો તેની સામે થઈ રહ્યા છે. 2017 માં કોંગ્રેસના હર્ષદભાઈ રીબડીયા સામે ચૂંટણી લડીને પરાજિત થયેલા કિરીટભાઈ પટેલને ભાજપે ફરી મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ તેની સામેના પ્રચારમાં હરીફો એવી વાત કરે છે કે 2015માં જુનાગઢ જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠક પણ ન જીતી શકેલા કિરીટભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે વિજય મેળવે છે તે જોવાનું રહેશે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને જુનાગઢ સહકારી બેંકના ચેરમેન ઉપરાંત ભાજપના આ ઉમેદવાર કિરીટભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં પણ ચેરમેન રહી ચૂક્યા છે અને સહકારી સંસ્થાઓથી માંડી ગ્રામ્ય કક્ષાએ તેમનું મોટું નેટવર્ક છે.

વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં અત્યારે તો 'ચકલી નાની અને ફૈડકો મોટો' જેવું જોવા મળે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિતનાઓ હાજર રહ્યા હતા. ભાજપના ઉમેદવારના ફોર્મ વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, ઈન્દ્રનીલ રાજ્યગુરુ પુંજાભાઈ વંશ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

ભાજપ અને આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી માટે તેમના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. ભાજપે બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવીયા- નિમુબેન બાંભણિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ગોરધનભાઈ ઝડફિયા, વર્ષાબેન દોશી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઋષિકેશ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપુત, હર્ષ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જયેશભાઈ રાદડિયાના નામની જાહેરાત કરી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સહિત 25 આગેવાનોના નામ સ્ટાર પ્રચારક તરીકે જ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાનું નામ દોઢ મહિના અગાઉ જાહેર કરી દીધું હોવાથી પ્રચારમાં તેને પૂરો સમય મળી રહ્યો છે. બીજી બાજુ 'ઇટાલિયાને ભાજપ તોડી બતાવે, હું રાજકારણ છોડી દઈશ' તેવી કેજરીવાલની ઓપન ચેલેન્જ પણ ચૂંટણી પ્રચારમાં મહત્વની અસર કરી રહી છે.

કોંગ્રેસના નીતિનભાઈ રાણપરીયા જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય છે અને ભેસાણ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ, વિસાવદર વિધાનસભા યુવક કોંગ્રેસના ચૂંટાયેલા પ્રમુખ, ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક મહત્વના હોદ્દા ઉપર તે રહી ચૂક્યા છે. અત્યારે પણ સક્રિય રાજકારણમાં છે અને ગ્રામ્ય સ્તર સુધી મોટું નેટવર્ક કાર્યકરોનું ધરાવે છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટીના કિશોરભાઈ કાનગડ સહિત 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આમાંથી કોને ચુટવા અને કોને ન ચુટવા તેનો નિર્ણય આગામી તારીખ 19 ના રોજ વિસાવદર વિધાનસભા મતવિસ્તારના 1.62 લાખ મતદારો લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News