પોરબંદર કોસ્ટલ પી.જી.વી.સી.એલ.ના ઇલેકટ્રીક આસીસ્ટન્ટની ફરજમાં થઇ રૂકાવટ

  • September 17, 2024 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર કોસ્ટલ પી.જી.વી.સી.એલ.ના ઇલેકટ્રીક આસીસ્ટન્ટ અને લાઇનમેન સાથે ઝઘડો કરીને હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
છાયામાં ૬૬ કે.વી. સબસ્ટેશન સામે રહેતા અને કોસ્ટલ પી.જી.વી. સી.એલ. ના સબડિવિઝનમાં ઇલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે સાત વર્ષથી નોકરી કરતા વીરેન્દ્ર દીપકભાઇ સોલંકી નામના ૩૦ વર્ષના યુવાન દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તા. ૧૫-૯ના રાત્રે તેમને ઓફિસેથી જાણ કરવામાં આવી હતી કે કોલીખડા -આદિત્યાણા રોડ પર શ્રીરામના પાટીયા પાસે ૧૧ કે.વી.નો વીજ વાયર તૂટી ગયો છે અને સતીષ ભીમાભાઇએ આ ફોલ્ટ લખાવ્યો છે આથી ફરિયાદી તથા લાઇનમેન અનીલભાઇ વાંદરીયા અને બોલેરોના ડ્રાઇવર ગિરીરાજસિંહ જાડેજા ફોલ્ટવાળી જગ્યાએ પહોંચ્યા અને ત્યાં જઇને જોયુ તો ૧૧ કે.વી. લાઇન ચાલુ હતી કોઇ ફોલ્ટ ન હતો. આથી લાઇનમેન અનીલભાઇએ ફોલ્ટ લખાવનાર સતીશને ફોન કરીને ‘તમે ફોલ્ટ લખાવ્યો છે તે જગ્યાએ અમે ચેક કરેલ છે. પરંતુ તે લોકેશન મળેલ નથી. તમે અહીં જગ્યા ઉપર આવીને ફોલ્ટવાળી જગ્યા બતાવો.’ સતીશે એવું જણાવ્યુ હતુ કે, ‘હું શ્રીરામના પાટીયે રોડ પર છું તમે અહીં આવી જાવ.’ આથી સાડા અગિયાર વાગ્યે  તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ચાર જેટલા લોકો ઉભા હતા તેથી ફરીયાદીએ સતીશભાઇ કોણ છે? ફોલ્ટ લખાવ્યો છે. તેથી એક ઇસમે ‘હું સતીશ છું. તમે પહેલા ગાડીની નીચે ઉતરો’ આથી ફરિયાદી તથા તેના લાઇનમેન બોલેરોમાંથી નીચે ઉતર્યા ત્યારે સતીશે લાઇનમેન અનીલને ઝાપટ મારી હતી આથી ફરિયાદીએ હાથ ચાલાકી કરવાની ના પાડતા સતીશે ‘તમારો સાહેબ અમારા ફોન કેમ ઉપાડતો નથી?’ એ દરમિયાન એક અન્ય ઇસમ ત્યાં આવીને બોલવા લાગ્યો હતો કે ‘હું પ્રતાપ રામા ખુંટી છું તમે શા માટે ઇલેકટ્રીક લાઇન બંધ રાખી છે અને લાઇન બંધ હોય પછી તમારો સાહેબ કોઇના ફોન ઉપાડતો નથી.’ આથી ફરિયાદીને સમજાવ્યુ હતુ કે ‘ફોલ્ટ હોય ત્યારે લાઇન બંધ કરવામાં આવે છે અને સમારકામ થઇ ગયા પછી ચાલુ કરી દેવામાં આવે છે.’
આથી સતીશે  ‘અમારે તમારી દલીલો સાંભળવી નથી એમ કહીને ફરિયાદીના ગાલ પર ઝાપટ મારી દીધી હતી.’ આથી મારામારી કરવાની ના પાડતા સતીશભીમા, પ્રતાપ રામા ખુંટી અને બે અજાણ્યા માણસો ગાળો બોલવા લાગ્યા હતા અને‘તમારા જુનિયર એન્જીનીયર કેશવાલાને અહીં બોલાવો પછી જ તમને લાઇન રીપેર કરવા દેવી છે. 
જ્યાં સુધી તમારા સાહેબ નહી આવે ત્યાં સુધી લાઇન રીપેર કરવા દેશું નહી’ આથી ફરિયાદીએ તેને સમજાવ્યા હતા કે ‘અમારા સાહેબ ઓફિસે હાજર નથી તેથી ફોન ઉપાડયો નહી હોય.’ ત્યારબાદ ચારેય જણા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ૧૧ કે.વી.ની મેઇનલાઇન પર તમામ લાઇનો ચેક કરતા ફોલ્ટ ન હતો પણ ૧૧ કે.વી. રાતડીની લાઇનનો ફોન હતો ત્યાં જઇને સમારકામ  કર્યા બાદ ઓફિસે આવ્યા હતા અને તેમના અધિકારીને બનાવની જાણ કરી હતી. આથી અંતે ફરિયાદી અને લાઇનમેનને ફરજમાં ‚કાવટ કરી માર મારનારા સતીશ ભીમા, પ્રતાપ રામા ખુંટી અને બે અજાણ્યા માણસો સામે  ગુન્હો નોંધાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application