પોરબંદરમાં એક વ્યક્તિએ નવ વર્ષ પહેલા દાંતની ટ્રીટમેન્ટ કરાવી હતી જે અયોગ્ય હોવાનું જણાવીને દવાખાના ખાતે રજુઆત કરવા ગયેલ દર્દીને દવાખાનામાં કામ કરતા કર્મચારીએ માર મારતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
મૂળ પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાસેના ગાંધીપાર્કમાં તથા હાલ હાથીટાંકી રોડ પર માનસરોવર ગેસ્ટહાઉસ પાસે રહેતા અને બજાજ કંપનીમાં ખાનગી નોકરી કરતા અણ હાજાભાઇ આંત્રોલિયા નામના ૩૯ વર્ષના યુવાન ઉપર લાકડી વડે હુમલો થયો છે જેમાં ફરિયાદની વિગત એવી જણાવવામાં આવી છે કે સુદામાચોકમાં એસ.બી.આઇ. બેન્કના એ.ટી.એમ. સામે ડો. કિશોર કાટબામણાના દાંતના દવાખાને ગયો હતો ત્યાં વર્ષ ૨૦૧૬માં અણ આંત્રોલિયાએ દાંત સાફ કરાવ્યા હતા. તેમાં તેઓએ કરેલી ટ્રીટમેન્ટ બરાબર કરી નહી હોવાનો અણને શક અને વહેમ હતો અને એવું લાગ્યુ હતુ કે ઇન્જેકશન મારીને અણના ગળામાં કંઇક કર્યુ છે. વર્ષ ૨૦૨૧માં જામનગર ખાતે ગળાની સારવાર કરાવી ત્યારે પણ ફરિયાદીને એવુ લાગ્યુ હતુ કે ડોકટરે કંઇક કરી નાખ્યુ છે. આવી શંકા હોવાથી આ મનદુ:ખની વાત કરવા માટે તા. ૩૧-૫ના બપોરે ડોકટરને ત્યાં દવાખાને રજુઆત કરવા ગયો ત્યારે તપાસ કરતા દવાખાનુ બંધ હતુ આથી ફરિયાદી ત્યાં બહાર રાહ જોઇને ઉભો હતો. અને એ બંનેને અગાઉના મનદુ:ખની વાત કરતા ડોકટરને ત્યાં કામ કરતો કિરણસિંહ તકુભાઇ જાડેજા ગુસ્સામાં આવી ગયો હતો અને અણને ‘વારંવાર તમે અમારા દવાખાને કેમ આવો છો?’ તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર ઝઘડો અને બોલાચાલી થતા ત્યાં હાજર અમુક માણસોએ ડોકટર કિશોર કાટબામણા ઉંમરલાયક અને વૃધ્ધ હોવાથી સાઇડમાં લઇ જઇને બેસાડી દીધા હતા અને કિરણસિંહે લાકડી વડે ફરિયાદી અણભાઇને કપાળ અને પીઠના ભાગે માર મારતા લોહી નીકળવા લાગ્યા હતા. ભરબજારમાં મારામારી થતા આજુબાજુમાં રેકડીના ધંધાર્થીઓ એકત્ર થઇ ગયા હતા અને અણને વધુ મારથી બચાવ્યો હતો. કિરણસિંહે જતા જતા ધમકી આપી હતી કે ‘આજે તો આ માણસો ભેગા થઇ જતા તું બચી ગયો છે પરંતુ બીજી વખત આ દવાખાનાબાજુ આવ્યો તો તને મારી નાખીશ’ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. માથામાં ઇજાને લીધે પીડા થતી હોવાથી કોઇએ ઇમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરી હતી અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી સ્વસ્થ થયા બાદ હવે અણ આંત્રોલિયાએ ડોકટરને ત્યાં કામ કરતા કર્મચારી કિરણસિંહ તકુભા જાડેજા સામે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુન્હો નોંધાવતા આગળની તપાસ કીર્તિમંદિર પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં બફારાથી લોકો હેરાન-પરેશાન: તાપમાન ૩૭ ડીગ્રી
June 05, 2025 11:44 AMદિગ્જામ સર્કલ પાસે કાર ધડાકાભેર વીજ પોલ સાથે ટકરાઈ
June 05, 2025 11:35 AMજામનગરમાં અધિકારી-ઇન્સ્પેકટર રાજ...! કરદાતાઓને જી.એસ.ટી. રીફંડમાં પગે પાણી
June 05, 2025 11:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech