અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન, બે કલાકમાં 450 દબાણો ધ્વસ્ત, લોકો સામાન સાથે રસ્તા પર આવી ગયા, જુઓ તસવીરો

  • May 29, 2025 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશન કર્યા બાદ આજે એએમસીના બૂલડોઝરો બાપુનગર વિસ્તારમાં ધણધણી ઉઠ્યા હતા. બાપુનગરની અંદર આવેલા અકબરનગરમાં આજે સવારે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અજિત મિલ ચાર રસ્તા પાસે એસપી ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલી આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરાં અને નાનાં-મોટાં કાચાં-પાકાં મકાનો હતાં, જેને બે કલાકની અંદર પાંચ જેસીબી અને આઠથી વધુ હિટાચી મશીનથી તોડી પાડવામાં આવ્યાં છે. ડિમોલિશનના અંતે 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે.

અકબરનગરના છાપરામાં રહેતા તમામ લોકોએ પોતાનો સામાન બહાર લાવીને રોડ ઉપર મૂકી દીધો હતો. તમામ લોકોને રોડ ઉપર બેસવાનો વારો આવ્યો હતો. એચ ડિવિઝન એસીપી આર.ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, બાપુનગરના અકબરનગરના છાપરાના ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 2 એસીપી, 9 પીઆઇ, 27 પીએસઆઈ, 400 પોલીસકર્મી સહિત 10 એસઆરપી સેક્સન બંદોબસ્તમાં મૂકવામાં આવી હતી. શાંતિપૂર્ણ રીતે મકાનોના ડિમોલિશન કરવામાં આવ્યું હતું.


મળતી માહિતી મુજબ, અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યાં હતાં, જેમાંના 76 લોકો હજી પણ અહીં રહેતા હતાં. આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ બાદ ફરીથી દબાણ ન થાય એ માટે કોર્પોરેશન દ્વારા દીવાલ બનાવી દેવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, આજથી પાંચ મહિના પહેલાં રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાઓએ ધક્કો મારી હથિયાર બતાવી પોલીસવાહનમાં બેસાડી દીધા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ મામલે આરોપીઓ સામે સમયસર યોગ્ય કાર્યવાહી ન કરી શકનારા બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. 


બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તાર તરીકે ઓળખાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી મળી 14 વિશાળ મશીનરી સાથે 100 મજૂર સાથે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી હતી. અકબરનગરના છાપરામાં રહેતા લોકો ઘર તોડી પાડ્યા બાદ પતરા-લોખંડના દરવાજા સહિતની ચીજ-વસ્તુઓ ભેગી કરીને લઈ જઈ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application