ખંભાળિયા નગરપાલિકામાં ઈ-નગર સોફ્ટવેર ખોડંગાતા વેરો ભરવામાં અરજદારોને વ્યાપક હાલાકી

  • June 03, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકનોલોજીના જમાનામાં અરજદારો સર્વર, સોફ્ટવેર પ્રોબ્લેમથી પીડાય છે...!​​​​​​​: લાંબા સમયથી પડતર પ્રશ્નનું નિરાકરણ ન થતા ભારે રોષ


ખંભાળિયા નગરપાલિકામાં વિવિધ પ્રકારના વેરા ભરવા માટેનું ઈ-નગર સોફ્ટવેર હાલ ઘણા સમયથી બંધ હોવાથી અરજદારોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી સર્જાયેલી આ સમસ્યાનું લાંબા સમયથી નિરાકરણ ન આવતા હાલ એ.આઈ. ટેકનોલોજીના સમયમાં લોકોને લાંબા સમયથી આ સોફ્ટવેર પ્રોબ્લેમના લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


ખંભાળિયા નગરપાલિકાના વિવિધ પ્રકારના હાઉસ ટેક્સ, નળ વેરો, જનરલ ટેક્સિસ, નામ ટ્રાન્સફર વિગેરે પ્રકારના મહત્વના કામ તેમજ કરવેરા માટે નગરપાલિકામાં ઈ-નગર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા આશરે ત્રણ માસથી ઈ-નગર સોફ્ટવેરમાં સર્વરના ધાંધિયાના લીધે અહીં કોઈ પણ પ્રકારનો કરવેરો કે અન્ય જરૂરી કામગીરી માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. 


આ ગંભીર પ્રશ્ને ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા ગાંધીનગર ખાતે જી.યુ.ડી.એમ. વિભાગમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. અમુક સમયે ધીમે ધીમે કામ કરતા આ સોફ્ટવેરમાં એકાદ કલાકે એકાદ આસામીનો વેરો ભરી શકાય છે. 


વર્ષ 2022-23 થી અહીં ઇન્સ્ટોલ કરવામાં આવેલી ઈ-નગર સિસ્ટમ જાણે ફેઈલ હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. આ વિભાગના અધિકારી, સ્ટાફ દ્વારા ગાંધીનગર ખાતે હેલ્પ ડેસ્કમાં ફોનથી જાણ કરવા છતાં પણ ઉચ્ચકક્ષાએથી જાણે ચલક-ચલાણું જેવી રમત રમવામાં આવતી હોય તેમ કોઈ પણ સમય મર્યાદામાં કામ થઈ શકતું નથી.


આ ઉપરાંત ઓનલાઈન વેરો ભરવા ઈચ્છતા આસામીને ઈ-નગરમાં ખંભાળિયા નગરપાલિકાનું નામ પણ આવતું ન હોવાથી તેઓ કરવેરો ભરી શકતા નથી. સમયાંતરે ગાંધીનગર ખાતે યોજાતી મિટિંગમાં આ પ્રશ્ને રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ ઉચ્ચ કક્ષાએ માત્ર ઠાલા વચનો અને હૈયાધારણાઓ જ અપાય છે અને આ ગંભીર પ્રશ્નનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આ અંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમને પણ રજૂઆત કરવામાં આવી છે. 


તા. 30 જૂન સુધી વેરો ભરતા પાલિકાના ગ્રાહકો (અરજદારો)ને 10 ટકા રિબેટનો લાભ મળી શકે છે. પરંતુ સોફ્ટવેર તેમજ ટેકનીકલ કારણોસર હાલ નગરજનો આ લાભ લઇ શકતા નથી. અને બહેરા કાનને આ રજૂઆતો સંભળાતી નથી. આ પરિસ્થિતિ રાજ્યની અન્ય નગરપાલિકાઓની પણ હોવાનું કહેવાય છે.

ત્યારે હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) અને એડવાન્સ ટેકનોલોજીના સમયમાં ઈ-નગર સોફ્ટવેરના આ મહત્વના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવવું જોઈએ તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application