એસબીઆઇના ચેરમેન સી એસ સેટ્ટીએ જણાવ્યું છે કે ભારતને 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે આશરે રૂ,3,000થી રૂ.3,500 લાખ કરોડના મૂડી રોકાણની જરૂર પડશે. આ રકમ લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી મોટા ભંડોળને પ્રતિબિંબિત કરે છે.
તેમણે એમ પણ કહ્યું કે ફક્ત વિકસિત ભારત મિશનને 2035 સુધીમાં આશરે રૂ.600-650 લાખ કરોડની જરૂર પડશે. સેટ્ટીએ જણાવ્યું હતું કે ભારતની ભંડોળ જરૂરિયાતો ફક્ત બેંક ધિરાણ દ્વારા પૂરી કરી શકાતી નથી. સેટ્ટીના મતે, સ્થાનિક બચતનો ટ્રેન્ડ હવે બેંક થાપણોમાંથી મ્યુચ્યુઅલ ફંડ, વીમા અને પેન્શન ઉત્પાદનો તરફ વળી રહ્યો છે.
એક અહેવાલ અનુસાર, સરકારી ખર્ચ જે નાણાકીય વર્ષ 2015માં આશરે રૂ.2 લાખ કરોડ હતો તે નાણાકીય વર્ષ 2027ના બજેટમાં વધીને રૂ.12.2 લાખ કરોડ થયો છે, જે આ સમયગાળા દરમિયાન 600 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. આ સરકારી રોકાણથી ખાનગી રોકાણને મોટો વેગ મળ્યો છે. મોટા પાયે જાહેર રોકાણથી અનિશ્ચિતતા ઓછી થઈ છે અને પ્રોજેક્ટ્સની કાર્યક્ષમતામાં વધારો થયો છે, જેનાથી ખાનગી મૂડી આકર્ષાય છે.
એન કે સિંહે જણાવ્યું હતું કે ભારતનું બેંકિંગ ક્ષેત્ર મજબૂત સ્થિતિમાં છે. કુલ એનપીએ અઢી ટકા છે, જ્યારે ખાનગી બેંકોના એનપીએ 1.73 ટકા છે અને વિદેશી બેંકોના તેનાથી પણ ઓછા છે. 2008-17 દરમિયાન અસ્તિત્વમાં રહેલી ટ્વીન બેલેન્સ શીટ સમસ્યા હવે ઉકેલાઈ ગઈ છે.
જોકે, તેમણે ઘણા સુધારાઓની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ઉદાહરણ તરીકે, પ્રાથમિકતા ક્ષેત્રમાં ધિરાણ નિયમો પર પુનર્વિચાર કરવો, જ્યાં હાલમાં 40 ટકાથી વધુ ધિરાણ આ શ્રેણીમાં છે. સીઆરઆર અને એસએલઆર ઘટાડવું, જે હાલમાં 21 ટકા સંસાધનોને મર્યાદિત કરે છે. બોન્ડ માર્કેટને વધુ ગાઢ બનાવવું અને ટેકનોલોજી અને એઆઇ દ્વારા કાર્યક્ષમતામાં વધારો કરવો.
સેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ મોડેલ્સ બદલાઈ રહ્યા છે. એનઆઇઆઇએફ અને એનએબીએફઆઇડી જેવી સંસ્થાઓ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. વધુમાં, આઇએનવીઆઇટી અને આરઇઆઇટી મુદ્રીકરણ અને મૂડી રિસાયક્લિંગ માટે મહત્વપૂર્ણ સાધનો બની રહ્યા છે.
એમએસએમઈ બેંક લોનનો સૌથી ઝડપથી વિકસતો સેગમેન્ટ છે. ઘણી બેંકોએ 20 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. ડિસેમ્બર 2025 સુધીમાં બાકી એમએસએમઇ લોન રૂ.67 લાખ કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 16-18 ટકાના દરે વધી રહી છે. જોકે, ઔપચારિક ધિરાણ પ્રવેશ 50 ટકાની નીચે રહે છે.