BREAKING NEWS

દિલ્હીમાં યોજાશે પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ પર આધારિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ

  • February 14, 2026 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૬ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીમાં યોજાનાર ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬માં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને ગ્રીક વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ સહિત અનેક ટોચના વિશ્વ નેતાઓ હાજરી આપશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમિટ પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસના ત્રણ સિદ્ધાંતો પર આધારિત હશે, જે એઆઈ પર સહકાર માટે ભારતના અભિગમને વ્યાખ્યાયિત કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર અન્ય ઘણા નેતાઓ પણ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં હાજરી આપવાના છે. આમાં નેધરલેન્ડના વડા પ્રધાન ડિક સ્કૂફ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે અને મોરેશિયસના વડા પ્રધાન નવીનચંદ્ર રામગુલામનો સમાવેશ થાય છે. નવી દિલ્હી સ્થિત ઇઝરાયલી દૂતાવાસે પણ આગામી સપ્તાહે સમિટમાં હાજરી આપવા માટે એક ઉચ્ચ સ્તરીય ઇઝરાયલી પ્રતિનિધિમંડળના આગમનની જાહેરાત કરી છે.

ઈરાન પણ એઆઈ સમિટમાં ભાગ લેશે, જે ભારત સાથે ટેકનોલોજીકલ સંબંધોને મજબૂત બનાવવાનો સંકેત આપે છે. ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું હતું કે સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી સમિટમાં હાજરી આપશે. આ સમિટનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમીટ સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ઉદ્યોગ, શિક્ષણવિદો અને નાગરિક સમાજને એકસાથે લાવશે જેથી ટકાઉ વિકાસના સમર્થનમાં એઆઈના જવાબદાર વિકાસ અને ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય.


વિશ્વની ટોચની ટેક અને બિઝનેસ હસ્તીઓ હાજરી આપશે

આ સમિટમાં વિશ્વની ટોચની ટેક અને બિઝનેસ હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ મુકેશ અંબાણી, બાયોકોનના વડા કિરણ મઝુમદાર-શો, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને એનવીડિયાના વડા જેન્સેન હુઆંગ જેવા ટેક નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આયોજકોના જણાવ્યા અનુસાર, 40 થી વધુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સીઈઓ સ્ટેજ શેર કરશે. આ સમિટ નીતિ અને ટેકનોલોજી નેતૃત્વને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. સરકાર અને ખાનગી ક્ષેત્રો વચ્ચે એઆઈસહયોગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


પાંચ દિવસમાં ૭૦૦ થી વધુ સત્રો યોજાશે

પાંચ દિવસમાં ૭૦૦ થી વધુ સત્રો યોજાશે, જેમાં એઆઈ સલામતી, શાસન, નૈતિક ઉપયોગ અને ડેટા સુરક્ષા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતના સાર્વભૌમ એઆઈ મોડેલ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ એઆઈ વિકાસ પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. સમિટનું એક મુખ્ય આકર્ષણ એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો છે, જે ૭૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. ૩૦ દેશોના ૩૦૦ થી વધુ પ્રદર્શકો આરોગ્યસંભાળ, કૃષિ, શિક્ષણ, આબોહવા અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં એઆઈ ના વાસ્તવિક-વિશ્વના ઉપયોગો પ્રદર્શિત કરશે. સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ અને જાહેર સંસ્થાઓ એક જ પ્લેટફોર્મ પર તેમના ઉકેલો રજૂ કરશે. આનો ઉદ્દેશ એઆઈ ને પ્રયોગશાળાથી જમીન પર લઈ જવાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application