નાગનાથ ગેઇટ પાસે યુવાન પર હિંચકારો હુમલો

  • May 28, 2024 01:40 PM 

જુની અદાવતમાં પાંચ જેટલા શખ્સો પાઇપ, ધોકા જેવા હથિયારોથી તુટી પડયા : લુખ્ખાગીરી કરનારા શખ્સો સામે કડક પગલા લેવા જરી : ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો


જામનગરના નાગનાથ ગેઇટ, તંબોલી માર્કેટ નજીક ગત રાત્રીના એક યુવાન પર પાંચ જેટલા શખ્સોએ પાઇપ, ધોકા, લાકડી જેવા હથિયારોથી હુમલો કરી ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોચાડી હતી, દરમ્યાન યુવાનને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, જયાં આ મામલે ફરીયાદ નોંધાવવાની તજવીજ ચલાવવામાં આવી રહી છે.


જામનગરના નાગનાથ ગેઇટ અંદર કરશનભાઇ ચોક ખાતે રહેતા કપિલ નરેન્દ્રભાઇ સોઢા (ઉ.વ.39) નામનો યુવાન ગઇ રાત્રે 10-15 કલાકે તેમના ભાઇ સાથે તેમના વિસ્તારમાં આવેલી પોતાની દુકાન તરફ જતા હતા, દરમ્યાન નાગનાથ નાકે તંબોલી માર્કેટ પાસે પહોચતા પાંચ જેટલા શખ્સો પાઇપ, ધોકા અને લાકડી જેવા હથીયારોથી તુટી પડયા હતા, કપિલભાઇ પર હિંચકારો હુમલો કરી દેતા માથા, કાન અને પગ તથા શરીરના ભાગે ઇજા પહોચતા તાકીદે સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઇજાગ્રસ્તને કાનના ભાગે 3 ટાંકા, પગમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હોવાનું બહાર આવ્યું છે, આ બનાવ અંગે ફરીયાદ નોંધાવવા તજવીજ ચલાવવામાં આવી રહી છે, જુની બાબતનો ખાર રાખીને યુવાન પર હુમલો કરાયો હતો, વધુમાં મળેલી વિગત મુજબ કપિલ સોઢા નાગનાથ નાકે સોડા પીવા ગયા હતા ત્યારે મુખ્ય શખ્સ ત્યાં ઉભો હતો અને અપશબ્દો બોલતો હતો, આથી કપિલ ત્યાથી ચાલ્યો ગયો હતો અને મોડેથી બંને ભાઇઓ જતા હતા ત્યારે તંબોલી માર્કેટ પાસે હથિયારો સાથે ઘસી આવેલા પાંચ શખ્સોએ કપિલભાઇ પર હુમલો કરી દીધો હતો આ વેળાએ તેમના ભાઇ રાજનભાઇ વચ્ચે છોડાવવા પડતા તેમને પણ વાંસા અને શરીરના ભાગે હુમલાખોરોએ મુંઢ ઇજા પહોચાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા કેટલાય દિવસથી નજીવી બાબતોમાં હુમલાના બનાવ વધી રહયા છે, લુખ્ખાગીરી કરનારા તત્વો દેકારો બોલાવીને વાતાવરણ ડહોળે છે, માટે આવા તત્વો સામે પગલા લેવાનો સમય પાકી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application