જામનગરની ભાગોળે આવેલ બેડ ગામે શારદા વિનય મંદિર હાઇસ્કુલ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ હાઇસ્કુલનું નિર્માણ કરવામાં આવનાર છે, રૂ.૪ કરોડના ખર્ચે તૈયાર થનાર આ હાઇસ્કુલના નવનિર્માણના ખાતમુહુર્ત રીલાયન્સ ગૃપના અધિકારી રાજેન્દ્રસિંહ સરવૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સમયે બેડ ગામના સરપંચ મધુબેન ખાંભલા, ઉપસરપંચ જે.સી. જાડેજા, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા (દિગુભા), મુરાઆતા, વિઠ્ઠલભાઇ કણઝારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
રીલાયન્સ ગૃપના અધિકારી રાજેન્દ્રસિંહ સરવૈયા અને ગામના આગેવાનોની ઉપસ્થિતીમાં મનહરલાલ શાસ્ત્રી દ્વારા પુજન કરાવી કુંભ પધરાવવામાં આવ્યો હતો. હાલમાં ધો. ૧ થી ૯ સુધી શારદા વિનય મંદિર હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ આ નવી હાઇસ્કુલ થતાં ધો.૧ થી ૧૨ સુધી વિદ્યાર્થીઓ બેડ ગામમાં જ અભ્યાસ કરી શકશે, તેમને જામનગર કે જામખંભાળીયા જવું નહિં પડે. ૪ કરોડના ખર્ચે બનનાર આ હાઇસ્કુલના નિર્માણથી ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રામજનોએ આભાર વ્યકત કર્યો હતો.