ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત

  • June 17, 2025 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે કમર કસી છે. હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની કુલ 32 ટીમો તૈનાત કરવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર NDRF ની 12 ટીમો અને SDRF ની 20 ટીમો રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ટીમો કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી કરવા માટે સજ્જ છે. પૂર જેવી સ્થિતિ સર્જાય તો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા, ફસાયેલા લોકોને બચાવવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે આ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા તથા જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. લોકોને પણ સાવચેત રહેવા, નદી-નાળા નજીક ન જવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ગાંધીનગર ખાતે  IMDના અધિકારીઓ, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ, અન્ય વિભાગો તેમજ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને ત્યાં થયેલી  રાહત -બચાવ અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી. 

         
વધુમાં રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, અરબ સાગરમાં લો પ્રેસરની સ્થિતિના કારણે આગામી બે દિવસોમાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો.

         
રાહત બચાવની કામગીરીની વિગતો આપતા શ્રી પાંડેએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં ૧૨ એન.ડી.આર.એફની ટીમ વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ૨૦ જિલ્લાઓમાં એસ.ડી.આર.એફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ ચાલુ છે ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે  તથા અન્ય કેટલાક કારણોથી રાજ્યમાં ૧૮ જેટલા નાગરીકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત વરસાદમાં કાચા મકાનો અને પાકા મકાનોને પણ નુકશાન થયું છે. તેની ગ્રાન્ટ જિલ્લા કલેક્ટરશ્રીઓને ફાળવવામાં આવી છે તેમ રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

        અત્રે ઉલેખ્ખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ સંદર્ભે રાહત કમિશનર શ્રી આલોક પાંડેની અધ્યક્ષતામાં SEOC- ગાંધીનગર ખાતે 'વેધર વોચ ગ્રુપ'ની બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહી વાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને SDRF વગેરે વિભાગોના અધિકારીશ્રીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application