ટાલ પડવાની શરૂઆતના પ્રથમ સંકેત: વાળ ખરતા પહેલા સ્કેલ્પ આપે છે આ ખાસ ચેતવણી
આજની વ્યસ્ત જીવનશૈલી, અયોગ્ય ખાનપાન અને વધતા માનસિક તણાવ (સ્ટ્રેસ) ના કારણે વાળ ખરવાની સમસ્યા અત્યંત સામાન્ય બની ગઈ છે. લોકો સામાન્ય રીતે ત્યારે જ ચિંતિત થાય છે જ્યારે કાંસકા કે હાથમાં વાળના ગુચ્છા આવવા લાગે છે અથવા માથાની ત્વચા (સ્કેલ્પ) દેખાવા લાગે છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ્સના મતે, કોઈ પણ વ્યક્તિના વાળ અચાનક ખરતા નથી. આપણું સ્કેલ્પ ઘણા સમય પહેલાથી જ તેના સંકેતો આપવાનું શરૂ કરી દે છે. જો સમયસર આ પ્રાથમિક લક્ષણોને ઓળખી લેવામાં આવે, તો ફોલિકલ્સને કાયમી રીતે મૃત થતા બચાવી શકાય છે અને ટાલના શિકાર બનવામાંથી મુક્તિ મેળવી શકાય છે.
વાળ પાતળા થવા: ટાલ પડવાનું સૌથી પહેલું લક્ષણ
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાળ ખરવાની શરૂઆત થતાં જ આ મુજબના લક્ષણો અને આંતરિક ફેરફારો જોવા મળે છે
વાળની જાડાઈ ઘટવી:- આ પ્રથમ તબક્કામાં વાળ અચાનક તૂટી પડતા નથી, પરંતુ તેની મોટાઈ (ડાયામીટર) ધીમે-ધીમે ઓછી થવા લાગે છે જેને 'હેઅર થિનિંગ' કહેવાય છે.
પાર્ટિંગની જગ્યા વધુ થવી:- જો તમને અરીસામાં જોતી વખતે માથાની સેંથો (પાર્ટિંગ) પહેલા કરતાં વધુ પહોળી દેખાય, તો સમજી જવું કે વાળની આંતરિક તંદુરસ્તી બગડી રહી છે.
પોનીટેલ પાતળી લાગવી:- મહિલાઓમાં વાળ બાંધતી વખતે પોનીટેલ પહેલાં જેટલી જાડી ન લાગવી એ નબળા વાળનો સ્પષ્ટ સંકેત છે.
ફોલિકલનું મિનિએચરાઈઝેશન:- વિજ્ઞાનની ભાષામાં વાળ પાતળા થવાની આ પ્રક્રિયાને 'મિનિએચરાઈઝેશન ઓફ ફોલિકલ' કહે છે. આમાં સ્કેલ્પની અંદર રહેલા મૂળિયાં (ફોલિકલ્સ) ધીમે-ધીમે સંકોચાવા લાગે છે.
પોષણની કમી:-મૂળિયાં સંકોચાઈ જવાથી ત્યાં સુધી લોહીનું ભ્રમણ અને જરૂરી પોષક તત્વો પહોંચી શકતા નથી. પરિણામે, દરેક નવા હેર સાયકલમાં ઉગતો નવો વાળ પહેલા કરતાં વધુ નબળો, પાતળો અને ટૂંકો બનતો જાય છે અને અંતે ખરી પડે છે.
સ્ટેજ 1 થી 5 દરમિયાન વાળની રિકવરી છે સંપૂર્ણ શક્ય
જો તમારા વાળ પાતળા થઈ રહ્યા હોય તો ગભરાવાની જરૂર નથી, કારણ કે વૈજ્ઞાનિક તથ્યો મુજબ જ્યાં સુધી આ સંકોચાયેલા ફોલિકલ્સ કાયમી ધોરણે બંધ ન થઈ જાય ત્યાં સુધી તેમાંથી નવા અને ઘાટા વાળ પાછા મેળવવા શક્ય છે. ડોક્ટર્સ વાળ ખરવાની તીવ્રતા માપવા માટે 'નોરવુડ સ્કેલ' (Norwood Scale) નો ઉપયોગ કરે છે.
આ સ્કેલ મુજબ, જો કોઈ વ્યક્તિ સ્ટેજ 1 થી સ્ટેજ 5 ની વચ્ચે હોય, તો યોગ્ય સારવારથી વાળને ફરી ઉગાડી શકાય છે. આ તબક્કામાં ફોલિકલ્સ જીવંત હોય છે. ત્વચારોગ વિજ્ઞાની (ડર્મેટોલોજિસ્ટ) ની સલાહ અનુસાર મિનોક્સિડિલ, પીઆરપી (PRP) થેરાપી અથવા યોગ્ય આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આ મૂળિયાંને ફરી સક્રિય કરી શકાય છે.