રાજકોટ સહિત રાજ્યના પાંચ શહેરોમાં સરકારી ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર બનશે

  • March 26, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિટી મેડિસિટીના નિર્માણ બાદ ઝોન વાઇઝ કિડની, લીવર, હાર્ટ સહિતના ટ્રાન્સપ્લાન્ટ માટે સરકારી ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. આ માટે મેડિસીટી નિર્માણકાર્ય યુધ્ધના ધોરણે આરંભવવામાં આવ્યું હોવાનું આરોગ્યમંત્રીએ જણાવ્યું છે.


આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યમાં બ્રેઇનડેડ કે લાઇવ અંગદાતા તરફથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે. અંગદાનમા મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં વ્હાલા-દવલા કે કોઇપણ પ્રકારની ઓળખાણ કે લાગવગ ચલાવવાની નીતિને અવકાશ નથી.


તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વેગવંગી બનાવવા અને સમગ્ર પ્રક્રિયાનું મોનટરીંગ અને સંચાલન કરવા વર્ષ – 2019માં સોટો (સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન)ની રચના કરવામાં આવી છે. સોટો દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવી છે.


તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલ મેડસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટમાં કિડનીના, 748 અને લીવરના 140 ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ કિડનીના 28 અને લીવરના 54 જેટલા દર્દીના મૃત્યુ થયા છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ થયેલ દર્દીઓના મૃત્યુ સંદર્ભે કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા આંતરિક કમિટી બનાવી મૃત્યુના રીવ્યું કર્યા છે.


જેમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને ન્યુમોનિયા, સેપ્ટિસેમિયા (શરીરમાં ચેપ ફેલાઇ જવો) , પ્રાઇમરી ગ્રાફ્ટ ડિસફંકશન (મળેલ અંગ યોગ્ય રીતે કામ ન કરે) , ઇન્ફેકશન ફ્રોમ લિવર ડોનર , સ્ટોન ઇન ગોલ બ્લેડર , ટી.બી થવું, કેન્સર એટેક, પોર્ટલ વેઇન થ્રોંબોસીસ, એ.આર.ડી.એસ. (એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ), ઈસ્ચેમિયા રીપરફ્યુજન ઇંન્જરી (લોહીના પરિભ્રમણમા ખામી), કાર્ડિયાક એરેસ્ટ અને પુવર મેડિકલ કંડીશન, માલન્યુટ્રીશન, સાક્રોપેનિયા (સ્નાયુઓની તકલિફ) , રિકરન્ટ એક્યૂટ કિડની ઈંજરી જેવા મહત્વના કારણો જવાબદાર હોવાનું તારણ બહાર આવ્યું છે.


આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આજે અંગદાનની મુહિમ રાજ્યમાં જનઆંદોલન બની છે. લોકો હવે સ્વયંભુ અંગદાનના સેવાયજ્ઞમાં જોડાઇને અન્યોને મદદરૂપ બનવા સંકલ્પબધ્ધ થઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અંગોના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં માત્ર રીટ્રાઇવલ કરતી કુલ ૧૧૨ હોસ્પિટલો છે. જે પૈકી ૧૫ સરકારી હોસ્પિટલો છે. તેમજ રાજ્યમાં રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ બંને કરતી કુલ 33 જેટલી હોસ્પિટલ છે. આ ક્ષણે મંત્રીએ વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યોને રાજ્ય સરકારની અંગદાનની મુહિમમા જોડાઇને અંગોના વેઇટીંગ લીસ્ટ ઘટાડવા માટે સહભાગી બનવા આહવાન કર્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application