તારું મર્ડર કરીને આપઘાતમાં ખપાવી, તારો કાંટો કાઢી નાખીશું, તારા પિતાને કહે કે તને 10 તોલા સોનું, ગાડી ભરીને સામાન આપે

  • April 26, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રહેતી શિક્ષિકા પરિણીતાને કરિયાવર બાબતે સરકારી કર્મચારી પતિએ માસુમ પુત્રી સાથે કાઢી મૂકી હતી.જે અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે પતિ અને સસારીયા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

હાલ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે માવતરના ઘરે રહેતી ભાવિનીબેન (ઉ.વ 38) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સરકારી પ્રેસમાં કામ કરનાર પતિ સાગર કાંતિભાઈ ડરાણીયા, સસરા કાંતિલાલ, સાસુ ચંપાબેન (રહે. તુલસી પાર્ક, જય સરદાર ચોક આલાપ રોયલ પ્લાઝા રોડ, મવડી) તથા જેઠ કલ્પેશ કાંતિલાલ ડરાણીયા, જેઠાણી ફોરમ (રહે બંને. આરતી એપાર્ટમેન્ટ, ઉન્નતિ સ્કૂલ પાસે, ઝાંઝરડા રોડ, જુનાગઢ) ના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન ગઇ તા. 22/11/2021 ના સાગર સાથે થયા હતા. હાલમાં ફરિયાદી વીંછિયા તાલુકાના રહેવાણીયા ગામે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. લગ્નજીવન થકી સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે જે માતા સાથે રહે છે. લગ્નના એકાદ અઠવાડિયું સારી રીતે રાખ્યા બાદ પતી,સાસુ- સસરા ઘરકામ અને રસોઈ બાબતે તથા કરિયાવર ઓછો લાવવા બાબતે ઝઘડાઓ કરવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તારા મા બાપે તને કોઈ સંસ્કાર આપ્યા નથી તારી રસોઈમાં કોઈ ધડા નથી, તું અમારી હેસિયત મુજબ કરિયાવર લાવી નથી.


પતિ સાગર સરકારી પ્રેસમાં નોકરી કરતો હોય તેની બદલી અમદાવાદથી રાજકોટ થતા પતિ-પત્ની બંને જસદણ ખાતે રહેવા ગયા હતા. અહીં નાની નાની બાબતે બોલાચાલી થતી હતી. અહીં જસદણ અવારનવાર સાસુ સસરા રોકાવા માટે આવતા હતા ત્યારે જેઠ કલ્પેશને જમીન લેવાની હોય જેથી પતિએ કહ્યું હતું કે, તારા કરીયાવરમાં આવેલા પંદર લાખ જેટલા રૂપિયા આપ. પરિણીતાએ કહ્યું હતું કે, જરૂર પડશે ત્યારે પરત આપશે તેમ કહેતા આ તમામ ઝઘડો કરવા લાગ્યા હતા, રૂપિયા પરત આપવાની કોઈ ગેરંટી ન આપતા પરિણીતાએ રૂપિયા આપવાની ના કહી હતી. બાદમાં આ બાબતનો ખાર રાખી સાસરિયાઓ ત્રાસ આપવા લાગ્યા હતા. પ્રેગ્નન્સી સમયે ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હોય છતાં પતિ હેરાન કરતો હતો અને સાસુ સસરા કહેતા હતા કે, તારા પપ્પાના ઘરેથી તારો ત્રીજો ભાગ લઈ આવ તેમજ જેઠાણી અહીં ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, અમારા ઘરે ફર્નિચરનું કામ ચાલુ છે તેના માટે રૂપિયા આપો. પરિણીતાએ કહ્યું હતું કે, પગારમાંથી રૂપિયા આપો તો જેઠાણી કહેવા લાગ્યા હતા કે, પગારના રૂપિયા નથી જોઈતા તારા પિતાના ઘરેથી ત્રીજો ભાગ લેવાનો બાકી છે. એટલે તેની પાસેથી રૂપિયા લઇ આવ.


પુત્રીનો જન્મ થતાં સાસરિયાંઓને ગમ્યું ન હતું અને ક્યારેય તેને પ્રેમથી બોલાવી પણ ન હતી ગત તા. 17/2/2024 ના પરિણીતા અને તેની પુત્રીને કાઢી મૂક્યા હતા અને કહ્યું હતું કે, તારા પિતાને કહે કે તને 10 તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે. તારીખ 18/ 2 ના સાંજે પાડોશીને પતિએ ફોન કરી કહ્યું હતું કે, મને બધા રૂપિયાનો વહીવટ નથી દીધો એટલે હવે મારે સંબંધમાં આગળ વધવું નથી અને જ્યારે પરિણીતાને ઘરેથી કાઢી મૂકી ત્યારે ધમકી આપી હતી કે, તે કે તારી દીકરીએ આ ઘરમાં પગ મૂક્યો તો બંને જીવથી જશો અને જો અમારે સમાજના ડરથી કે કોર્ટના પ્રેશરથી તને પાછી લાવવી પડશે તો તારું મર્ડર કરીને આપઘાતમાં ખપાવી તારો કાંટો કાઢી નાખીશું. ત્યારબાદ પણ સમાધાનના પ્રયત્નો કર્યા હતા પરંતુ સાસરિયાઓએ અત્યાર સુધીના તમામ પગાર અને બધું સોનું આપે તો જ સમાધાન થશે તેવી વાત કરી હતી. જેથી અંતે પરિણીતાએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application