BREAKING NEWS

અમદાવાદમાં મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા, પ્રચંડ ધડાકાથી બાજુના ઘરોના કાચ તૂટ્યા

  • March 31, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવા શહેરના નારણપુરા વિસ્તારમાં ચામુંડાનગરના એક મકાનમાં આજે વહેલી સવારે રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતા ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઘરમાં સૂઈ રહેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના મકાનોમાં બારીના કાચ તૂટી ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


અમદાવાદ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, વહેલી સવારે આશરે 5:30 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમને ગેસ લીકેજ અંગેનો કોલ મળ્યો હતો. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી. નાની ઓરડી જેવા મકાનમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ઘરના સામાન અને ગાદલાઓમાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે લોકો ઊંઘમાંથી ફફડીને જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટની તીવ્રતાને કારણે અસરગ્રસ્ત મકાનના ધાબાના પોપડા ઉખડી ગયા હતા અને બાજુમાં આવેલા બે મકાનોના બારી-બારણાના કાચ પણ તૂટીને વેરવિખેર થઈ ગયા હતા.

આ દુર્ઘટનામાં પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. બ્લાસ્ટ થતાં જ ઈજાગ્રસ્તો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં રાજુભાઈ (35 વર્ષ), હીરાભાઈ (45 વર્ષ), મણિલાલ (46 વર્ષ), સોહનભાઈ (50 વર્ષ) અને એક અજાણી વ્યક્તિનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News