Gujarat: ખેડૂતોની સુધરશે દિવાળી, મગફળી, મગ, અડદ અને સોયાબીનને સરકાર ખરીદશે ટેકાના ભાવે

  • September 30, 2024 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે. રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી. 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. લાભ પાંચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે.


ગાંધીનગર ખાતે ગત તા. ૨૬મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે.


આ આયોજન અંગે વિગતો આપતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તા. ૧૧મી નવેમ્બર, ૨૦૨૪ના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતેથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.


ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તા. ૦૩ ઓક્ટોબરથી ૩૧ ઑક્ટોબર,૨૦૨૪ દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.


તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફળી રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ.૧૪૮૦ પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી પી.એસ.એસ હેઠળ ટેકાના ભાવે ૬૧,૩૭૨ લાભાર્થી ખેડૂતો પાસેથી  રૂ. ૬૭૧ કરોડથી વધુ કિંમતના ૧,૧૮,૦૦૦ મે. ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી. ગત વર્ષના પ્રમાણમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application