જામનગર તાલુકાના ચેલા ગામના ખેડૂત કરી રહ્યા છે, પ્રાકૃતિક પ્રોડક્ટ્સની હોમ ડિલિવરી

  • July 10, 2024 06:14 PM 

જામનગર તાલુકાના ચેલા ગામના ખેડૂત કરી રહ્યા છે, પ્રાકૃતિક પ્રોડક્ટ્સની હોમ ડિલિવરી

લખમણભાઈ ગાયના દૂધની સાથે પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજી પણ લોકોના ઘર સુધી પહોંચાડે છે

સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે તેઓને રૂ.2,25000 ની સહાય તેમજ ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અંર્તગત દર વર્ષે રૂ.10,800ની સહાય મળે છે

ખેતરમાં રાસાયણિક ખાતરના બદલે ગાયનું છાણ, ગૌમૂત્ર, છાશનો જ ઉપયોગ કરું છું. : લખમણભાઈ નકુમ

ઓનલાઈન વેબસાઇટ પરથી તમે અનેક વસ્તુઓની ઘરે બેઠા ખરીદી કરી શકો છો. પણ ગાયનું દૂધ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળોની હોમ ડિલિવરી વિષે નહિ સાંભળ્યું હોય. જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા લખમણભાઈ નકુમ જામનગર શહેરમાં દેશી ગાયનું દૂધ તેમજ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉગાડેલા ફળો અને શાકભાજીની તેમજ મગફળીનું વાવેતર કરે ત્યારે શુધ્ધ મગફળીનું તેલ લોકોના ઘર સુધી કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વગર પહોંચાડે છે. પોતાના 14 વીઘા ખેતરમાં તેઓ બારેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેમાં લખમણભાઈ શાકભાજી, ઘાસચારો, ફળોનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે. તેમની પાસે અંદાજિત 22 જેટલી દેશી ગાયો છે. જેનું ગૌમૂત્ર, છાણ તેમજ ખાટી છાશ એકત્ર કરી તેઓ જંતુનાશકો તરીકે જમીનમાં છંટકાવ કરે છે. જેનાથી રાસાયણિક ખાતર પાછળ પૈસા ખર્ચ થતાં નથી. તેમજ સંપૂર્ણ કુદરતી રીતે પાકનું ઉત્પાદન થયું હોવાથી વધારે ભાવ મળતા તેઓની આવક બમણી થઈ છે.

લખમણભાઈ નકુમ જણાવે છે કે, મારે 14 વીઘા જમીન છે હું 2013થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. અગાઉ મારી પાસે ઓછી ગાયો હતી. પરંતુ વર્ષ 2020-21માં પશુપાલન વિભાગ દ્વારા સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે રૂ.2,25,000ની સહાય આપવામાં આવી છે. હાલમાં મારી પાસે 25 ગાયો છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા એક ગાયની સહાય એક મહિનાના રૂ.900 લેખે આપવામાં આવે છે. જે વાર્ષિક રૂ.5400ના બે હપ્તા દ્વારા ચૂકવવામાં આવે છે. હાલ બાગાયતી પાકોના બગીચામાં જામફળ, ચીકુ, સીતાફળ, ખારેક, નાળિયેર, લીંબુનું વાવેતર કર્યું છે. તેમજ મગફળી અને શાકભાજીનું પણ વાવેતર કરું છું.

જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવા વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ત્યાં શાકભાજી અને ફળોનું વેચાણ કરતાં બજાર ભાવ કરતાં એક કિલો શાકભાજીના રૂ.20 થી રૂ.30 વધારે મળવાથી આર્થિક ફાયદો થાય છે. હું મગફળીનું પણ વાવેતર કરું છું અને તેમાંથી તેલ બનાવી તેનું વેચાણ કરું છું. અમે પણ શુધ્ધ વસ્તુઓ ખાય છીએ અને ગ્રાહકને પણ શુધ્ધ વસ્તુઓ ખવડાવીએ છીએ. ગાયોનું દૂધ કાંચની બોટલમાં ભરી શહેરમાં હોમ ડિલિવરી કરું છું જેના પ્રતિ લિટરના 80 રૂપિયા મળે છે. ગાયના દૂધની સાથે હું પ્રાકૃતિક રીતે ઉત્પાદન થયેલા શાકભાજી અને ફળો પણ લોકોના ઘર સુધી પહોંચાડુ છું. રાજ્યપાલ અને મુખ્યમંત્રીના કાર્યક્રમો દરમિયાન પ્રાકૃતિક સ્ટોલ ઊભા કરવામાં આવે છે. ત્યાં હું મારી વસ્તુઓનું વેચાણ કરી શકું છું સાથોસાથ વિનામૂલ્યે જાહેરાત થાય છે અને વેચાણ પણ વધે છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ.20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ.1000 લાખની રકમ ફાળવવામાં આવી છે...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application