લોનાવલાના પ્રખ્યાત લોહગઢ કિલ્લા પર થયેલા બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યા કેસ અંગે હવે બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ કેસમાં આરોપી સિયા ગોયલના પિતાએ તાજેતરમાં આપેલા ચોંકાવનારા નિવેદનનું કંગનાએ સમર્થન કર્યું છે. કંગનાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આજની ડિજિટલ દુનિયામાં બાળકો જે કંઈ પણ કરે છે તેના માટે તેમના માતા-પિતાને દોષી ઠેરવી શકાય નહીં.સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલનું હેડલાઇન વાળું નિવેદન શેર કરતા કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું:"આજકાલ માત્ર પરિવારો, ઘર કે માતા-પિતાને જોઈને તમે બાળકોના સંસ્કારો વિશે ચોક્કસ કંઈ કહી શકતા નથી. વધુ મહત્વનું એ છે કે તેમને કોણ તૈયાર કરી રહ્યું છે? તેઓ કોની સાથે સમય વિતાવે છે અને સોશિયલ મીડિયા, એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કે વાસ્તવિક જીવનમાં તેમના પર કઈ વસ્તુઓની અસર થઈ રહી છે. કંગનાએ વધુમાં ઉમેર્યું કે, આજકાલ લોકો એક સાથે ઘણી બધી જિંદગી જીવી રહ્યા છે. તેઓ દુનિયા સામે પોતાની એક ખૂબ જ સારી છબી ઊભી કરે છે. તેથી, બાળકોની આવી હરકતો માટે પરિવારોને ખોટા ઠેરવવા યોગ્ય નથી.
આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલે ન્યાયની માંગ કરતા કહ્યું કે, તેઓ કેતનને પોતાના દીકરા સમાન માનતા હતા. તેમણે ગુસ્સા અને દુઃખ સાથે જણાવ્યું:
હત્યારાને કડકમાં કડક સજા મળવી જોઈએ. જે કિલ્લા પરથી કેતન નીચે પડ્યો હતો, આરોપીને પણ — ભલે તે મારી પોતાની સગા દીકરી જ કેમ ન હોય — ત્યાંથી જ નીચે ધકેલી દેવી જોઈએ.અહી જણાવી દઈએ કે લોનાવલા પાસે આવેલા લોહગઢ કિલ્લાની મુલાકાત દરમિયાન બિઝનેસમેન કેતન અગ્રવાલનું નીચે પડવાથી મોત થયું હતું.શરૂઆતમાં આ ઘટનાને પગ લપસવાને કારણે થયેલો અકસ્માત માનવામાં આવતો હતો, પરંતુ ટૂંક સમયમાં જ તે હત્યાનો કેસ બની ગયો.કેતનની મંગેતર સિયા ગોયલ અને તેનો કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરી આ મામલે પોલીસની શંકાના દાયરામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર, સિયા આ સગાઈ અને લગ્ન આગળ વધારવા અંગે ખુશ નહોતી, જ્યારે કેતન આ બાબત જાણતો હોવા છતાં લગ્ન માટે તૈયાર હતો. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગીલે જણાવ્યું છે કે, ડિજિટલ પુરાવા, લોકેશન ડેટા અને કોલ રેકોર્ડ્સ સ્પષ્ટ દર્શાવે છે કે આ કોઈ અકસ્માત નથી, પરંતુ સમજીને ઘડવામાં આવેલું એક પ્લાન્ડ મર્ડર (ષડયંત્ર) હતું. બીજી તરફ, ચેતનના પિતાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાના પુત્રને નિર્દોષ ગણાવ્યો છે