કેન્દ્ર સરકારે ફરી એકવાર ઇંધણ નિકાસ પર લાદવામાં આવતા વિન્ડફોલ ટેક્સમાં મોટો ફેરફાર કર્યો છે. આ વખતે, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર ટેક્સ વધારવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલ નિકાસને મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, અને સરકાર સ્થાનિક પુરવઠો સુરક્ષિત કરવા આતુર છે. સરકારના નવા નિર્ણય હેઠળ, વિવિધ ઇંધણ પરના કરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ડીઝલ નિકાસ કર રૂ.૮.૫થી વધારીને રૂ.૧૫.૫ પ્રતિ લિટર, એટીએફ (જેટ ફ્યુઅલ)માં રૂ.૭.૫થી વધારીને રૂ,૧૪.૫ પ્રતિ લિટર, પેટ્રોલ નિકાસમાં રૂ.૪થી ઘટાડીને રૂ.૨.૫ પ્રતિ લિટરનો સમાવેશ થાય છે. આ નવા દરો આજથી, ૧૬ જુલાઈથી અમલમાં આવ્યા છે.
ગઈકાલે બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ બે ટકા વધીને એક મહિનાની ઊંચી સપાટી 84.73 ડોલર પર પહોંચી ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સે ઇરાન પર ફરીથી નૌકાદળ નાકાબંધી લાદી હોવાથી, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠા અંગે ચિંતા વધી ગઈ, જેના કારણે આ બન્યું હતું.
ભારતમાં વિન્ડફોલ ટેક્સ કાયમી કર નથી પણ તેની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવે છે. જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, ત્યારે કર વધારવામાં આવે છે. જ્યારે ભાવ ઘટે છે, ત્યારે કર ઘટાડવામાં આવે છે. હેતુ સ્થાનિક પુરવઠા અને ભાવને નિયંત્રિત કરવાનો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે, સરકારે દેશમાં ઇંધણની ઉપલબ્ધતા રહે અને કંપનીઓ નફો કમાવવા માટે નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત ન કરે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં છે.
પેટ્રોલ પર ટેક્સ ઘટાડવાથી નિકાસમાં રિફાઇનરી કંપનીઓને થોડી રાહત મળશે. આનાથી વૈશ્વિક બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા જળવાઈ રહેશે અને કંપનીઓ તેમના માર્જિન પર વધુ પડતું દબાણ લાવશે નહીં. આ કર સીધો નિકાસ પર લાદવામાં આવે છે, આથી જનતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક કોઈ ફેરફાર જોશે નહીં.