રાસાયણિક ખેતી પદ્ધતિને જાકારો એટલે તંદુરસ્ત સમાજ અને સ્વસ્થ ભાવિને આવકારો

  • August 13, 2024 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરિત ક્રાંતિ બાદ પરંપરાગત બની બેઠેલી રાસાયણિક ખેતી પદ્ધતિને બદલે વર્ષોથી ચાલી આવતી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. માનવીના સ્વાસ્થ્યની સાથે જમીન સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટે પણ પ્રાકૃતિક ખેતી એટલી જ જરૂરી છે. રાસાયણિક ખેતી પદ્ધતિઓના વ્યાપક ઉપયોગને કારણે પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય પર તેની હાનિકારક અસરો પડી છે. હવે સમય, તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટે રાસાયણીક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવવાનો છે.



રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જમીનનું ધોવાણ કરે છે. જેથી જમીનની કુદરતી રચનામાં વિક્ષેપ પડે છે, કાર્બનિક પદાર્થોને ઘટાડે છે અને જમીનની ફળદ્રુપતા માટે જરૂરી એવા મહત્વપૂર્ણ સુક્ષ્મ સજીવોનો નાશ કરી નુકસાન તરફ દોરી જાય છે. આ સુક્ષ્મજીવો જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનમાં જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી જાય છે, પરિણામે અસંતુલન થાય છે જે પાકના આરોગ્ય અને ઉપજને અસર કરે છે. હવે જાણીએ રાસાયણિક કૃષિની સરખામણીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કેવી રીતે પ્રભાવશાળી અને વધુ ફાયદાકારક છે. રાસાયણિક કૃષિને બદલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનવવાનો અર્થ છે તંદુરસ્ત સમાજ નિર્માણની સાથે સ્વસ્થ ભવિષ્યનું સર્જન કરવું. પ્રાકૃતિક ખેતી અસંખ્ય ફાયદાઓ આપે છે જે પર્યાવરણની સાથેસાથે ખેડૂતો અને ગ્રાહકો માટે લાભદાયી છે. પ્રાકૃતિક ખેતી ટકાઉ કૃષિ પદ્ધતિઓ સુનિશ્ચિત કરે છે જે ઉત્પાદકતા જાળવી રાખે છે અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે. પ્રાકૃતિક ખેતી મોંઘા રાસાયણિક ખાતરો પર નિર્ભરતા શૂન્ય કરે છે. ખેડૂતો પોતાના જ ખેતરમાંથી ઉત્પન્ન થતાં કુદરતી જીવામૃતનો ઉપયોગ કરી નોંધપાત્ર રીતે ખર્ચ ઘટાડે છે.


પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતા પાક વધુ સારા સ્વાદ, પોષણ મૂલ્ય સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે. તેનાથી ખેડૂતોને વધુ સારી આવક અને બજાર ભાવ વધારે મળે છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતાને જાળવી રાખે છે અને તેમાં વધારો પણ કરે છે. જે લાંબા ગાળાની કૃષિ સદ્ધરતા સુનિશ્ચિત કરે છે. સજીવ ખેતી જમીન, પાણી અને સમગ્ર પર્યાવરણ પર થતી નકારાત્મક અસરને ઘટાડે છે.  પ્રાકૃતિક ખેતીના આવા અઢળક ફાયદાઓ છે જે ખૂબ જ આવકારદાયી છે. પ્રાકૃતિક ખેતી પરંપરાગત રાસાયણિક ખેતી દ્વારા ઊભા થતા પડકારોનો ઉકેલ પૂરો પાડે છે. તે ઉચ્ચ-ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન સુનિશ્ચિત કરે છે, જમીનની તંદુરસ્તી જાળવી રાખે છે, પર્યાવરણને થતા નુકસાનને ઘટાડે છે અને ખેડૂતોને આર્થિક લાભ આપે છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવીને, ખેડૂતો લાંબા ગાળાની ઉત્પાદકતા હાંસલ કરી શકે છે, સારી બજાર કિંમતો મેળવી શકે છે અને તંદુરસ્ત વાતાવરણ અને તંદુરસ્ત સમાજમાં યોગદાન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application