ધોરાજીના ઝાંઝમેરમાં ધમકીથી ડરી ગયેલા પ્રૌઢનું મોત: ચાર શખસો સામે ગુનો નોંધાયો

  • March 12, 2025 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતા પ્રૌઢના ઘર પાસે રાત્રીના કેટલાક શખસો ગાળાગાળી કરી રહ્યા હોય જેને સમજાવતા આ શખસોએ પ્રૌઢ સાથે ગાળાગાળી કરી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બાદમાં બીજા દિવસે આ શખસો પૈકી એકના પિતાને પ્રૌઢ તેના પુત્રને સમજાવવાનું કહેતા તેણે પણ ગાળો આપી ધમકી આપતા ગભરાઈ ગયેલા પ્રૌઢ ઢળી પડતા તેમને હોસ્પિટલ લઈ જતા તેમનું મોત થયું હતું. બનાવ અંગે પ્રૌઢના ભાઈની ફરિયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ચાર શખસો સામે એટ્રોસિટી ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા જેન્તીભાઈ સોમાભાઈ બાબરીયા (ઉ.વ 52) દ્વારા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઝાંઝમેરમાં રહેતા યોગીરાજસિંહ ઉદયસિંહ ચુડાસમા, વિવેક જયસુખભાઈ સોલંકી, રણજીત ગોપાલભાઈ વાઘેલા અને યોગીરાજસિંહ જીલુભા ચુડાસમાના નામ આપ્યા છે.


જેન્તીભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈ ભીખાભાઈ સોમાભાઈ બાબરીયા (ઉ.વ 59) ગઈકાલે સવારે તેમને મળ્યા હતા અને વાત કરી હતી કે, રાત્રિના 12:30 વાગ્યા આસપાસ મારા ઘર પાસે કેટલાક લોકો જોરજોરથી ગાળો બોલતા હોય જેથી મેં બહાર જઈ જોતા યોગીરાજસિંહ, વિવેક અને રણજીત ગાળો બોલતા હતા જેથી મેં તેમને ગાળો બોલવાની ના કહેતા આ ત્રણેય મને ગાળો દેવા લાગ્યા હતા તેમજ જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી ઘર ભેગો થા નહીંતર તને પતાવી દેવો પડશે તેવું કહેતા હું ગભરાઈને ઘરમાં ચાલ્યો ગયો હતો આવી વાત ફરિયાદીને તેના મોટાભાઈએ કરી હતી.


ગઈકાલે ગામની સહકારી મંડળીની ચૂંટણી હોય જેથી ફરિયાદી તથા તેમના મોટાભાઈ ભીખાભાઈ બાબરીયા સવારના અહીં ગામના પાદરે આવેલ રાજ હોટલ પાસે ઊભા હતા ત્યારે ભીખાભાઈ તેની પાસે આવી કહ્યું હતું કે રાત્રે અહીં ઊભેલા ઉદયસિંહ જીલુભા ચુડાસમાનો દીકરો યોગીરાજસિંહએ તેની સાથે માથાકૂટ કરી હોય જેથી આ બાબતે યોગીરાજસિંહને સમજાવવા માટે તેમણે ઉદયસિંહને કહેતા ઉદયસિંહ ગાળો આપી હતી અને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા જેથી ગભરાઈ ગયેલા ભીખાભાઈએ વધુ માથાકૂટ ન થાય માટે સાઈડમાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ એકાએક ઢળી પડતા તેમને કારમાં ધોરાજીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ફરજ પરના તબીબે જોઈ તપાસી ભીખાભાઈને મૃત જાહેર કર્યા હતા.


ભીખાભાઈ બાબરીયા પાંચ ભાઈ ત્રણ બહેનના પરિવારમાં વચેટ હતા તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ જેન્તીભાઈ બાબરીયાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આ બધા અમારા ગામના પુનીતભાઇ ઉર્ફે જોન્ટી રવજીભાઇ બગડાના માણસો હોય અને માથાકૂટમાં ગુપ્ત રીતે તેનો હાથ હોવાનું જણાવ્યું છે.બનાવ અંગે જેન્તીભાઇની ફરિયાદ કરતી ધોરાજી તાલુકા પોલીસે ત્યારે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી,ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application