કેન્દ્ર સરકાર દ્વારા નોકરીયાત વર્ગના ભવિષ્યની સુરક્ષા સાથે જોડાયેલા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ના નિયમોમાં એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે સત્તાવાર રીતે ‘કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, ૨૦૨૬’ (EPF Scheme 2026) ને અધિસૂચિત કરી દીધી છે. આ સાથે જ છેલ્લા ૭૪ વર્ષથી એટલે કે વર્ષ ૧૯૫૨થી ચાલી આવતી જૂની 'EPF સ્કીમ' ના સ્થાને હવે તદ્દન નવો કાયદો અને નવી વ્યવસ્થા લાગુ થઈ ગઈ છે.
આ નવી વ્યવસ્થાને ‘કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, ૨૦૨૦’ (Code on Social Security) અંતર્ગત લાવવામાં આવી છે. જો કે, આનાથી પીએફ (PF) ખાતાધારકોના વર્તમાન ખાતા, જમા રકમ કે અત્યાર સુધી મળતા લાભો પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. પીએફના વ્યાજ દર, ૧૨% યોગદાન અને ઉપાડના નિયમોમાં થયેલા આ ફેરફાર અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
સરકાર દ્વારા આ નવી યોજના લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇપીએફ (EPF) સિસ્ટમને વધુ ડિજિટલ, પારદર્શક અને જવાબદાર બનાવવાનો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓ માટેના પાયાના અને સૌથી મહત્વના નિયમો અગાઉની જેમ જ યથાવત રાખવામાં આવ્યા છે.
ડિજિટલ સેવાઓ અને પારદર્શિતા પર વિશેષ ભાર
નવી ‘EPF સ્કીમ ૨૦૨૬’ હેઠળ અત્યાર સુધી ચાલતી ઓનલાઇન અને ડિજિટલ પ્રક્રિયાઓને હવે ઔપચારિક રીતે સંપૂર્ણ કાનૂની માન્યતા આપી દેવામાં આવી છે. હવેથી નીચે મુજબની તમામ સેવાઓ આ નવી યોજનાનો કાયમી હિસ્સો બની રહેશે:
ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવું અને તમામ રેકોર્ડ ડિજિટલ ફોર્મેટમાં રાખવા.
ઓનલાઇન પીએફ ક્લેમ સબમિટ કરવા અને ઇલેક્ટ્રોનિક એન્યુઅલ સ્ટેટમેન્ટ (વાર્ષિક સ્ટેટમેન્ટ) જાહેર કરવા.
ડિજિટલ ઇન્સ્પેક્શન (તપાસ) ની પ્રક્રિયા અમલમાં મૂકવી, જેનાથી EPFO ની સેવાઓ વધુ ઝડપી અને વિવાદમુક્ત બનશે.
ખાનગી (Exempted) પીએફ ટ્રસ્ટો પર કડક નિયંત્રણો
જે મોટી કંપનીઓ EPFO ના બદલે પોતાનું અલગ ખાનગી ‘EPF ટ્રસ્ટ’ ચલાવે છે, તેમના માટે નવી યોજનામાં નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. આવા ટ્રસ્ટોમાં ટ્રસ્ટીઓની સત્તાવાર નિમણૂક, નિયમિત બેઠકોનું આયોજન, ઇલેક્ટ્રોનિક એકાઉન્ટિંગ, વાર્ષિક ઓડિટ, રોકાણની સચોટ રિપોર્ટિંગ અને ઓનલાઇન ખુલાસા કરવા જેવા બાબતોમાં હવે કડક કાયદાકીય નિયમોનું પાલન કરવું પડશે. જો કોઈ કંપની રિપોર્ટિંગમાં વિલંબ કરશે તો તેની સામે કડક દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આપત્તિના સમયે સરકારને મળ્યા વિશેષ અધિકારો
આ નવી યોજના હેઠળ કેન્દ્ર સરકારને એક વિશેષ સત્તા આપવામાં આવી છે. જે મુજબ ભવિષ્યમાં કોઈપણ વૈશ્વિક મહામારી, રાષ્ટ્રીય આપત્તિ કે અન્ય અસાધારણ કટોકટીની પરિસ્થિતિઓ સર્જાય, તો સરકાર વધુમાં વધુ ૩ (ત્રણ) મહિના માટે EPF અંશદાન (કોન્ટ્રિબ્યુશન) ને કામચલાઉ ધોરણે ઘટાડી શકે છે અથવા તેને મોકૂફ રાખી શકે છે. જો કે, આ નિયમ માત્ર ઈમરજન્સીની સ્થિતિ પૂરતો જ મર્યાદિત રહેશે.
કર્મચારીઓ માટે શું નથી બદલાયું? (આ નિયમો પહેલા જેવા જ રહેશે)
નવી સ્કીમ ૨૦૨૬ લાગુ થવા છતાં, કર્મચારીઓને સીધી અસર કરતા મુખ્ય નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી, જે સામાન્ય નોકરીયાત વર્ગ માટે રાહતના સમાચાર છે:
૧૨% અંશદાન: કર્મચારી અને કંપની (નિયોક્તા) બંને તરફથી થતું ૧૨-૧૨ ટકાનું માસિક યોગદાન પહેલાની જેમ જ ચાલુ રહેશે.
VPF સુવિધા: વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ (સ્વેચ્છિક ભવિષ્ય નિધિ) ની સુવિધા પણ યથાવત રહેશે.
UAN નંબર: યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જ દરેક સભ્યની કાયમી અને મુખ્ય ઓળખ બની રહેશે.
વ્યાજ અને ઉપાડ: પીએફ પર મળતું વાર્ષિક વ્યાજ, પૈસા ઉપાડવાના (નિકાસી) નિયમો, નોમિનેશન (વારસદારની વિગત), ટેક્સ બેનિફિટ અને બેલેન્સ ટ્રાન્સફર જેવી તમામ સુવિધાઓ જૂની વ્યવસ્થા મુજબ જ કાર્યરત રહેશે.