રેશનકાર્ડના ઇ -કેવાયસીની બે વર્ષથી ચાલતી કામગીરી છતાં 78.93 ટકા સફળતા

  • April 15, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોનુ ઈકેવાયસી કરવાનુ ફરજિયાત કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી જુદી જુદી એજન્સીઓને કામ સોંપવામાં આવે છે પરંતુ ધાર્યા પરિણામો હજુ મળ્યા નથી સરકાર દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ સૌરાષ્ટ્ર કચ્છના 22,94,596 રેશનકાર્ડ કેવાયસી કરવાના થાય છે તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 78.93% કામગીરી થઈ છે. રાજકોટ શહેરમાં આ કામગીરી 71.08% પૂરી થઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં એક કરોડ જેટલા લાભાર્થીમાંથી 79 લાખ લાભાર્થીઓનું ઈકેવાયસીપૂરું થયું છે.

સરકાર દ્વારા પોતાના વહીવટ તંત્ર પર પણ ઘણું દબાણ કરીને આ કામગીરી આગળ ધપાવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. સસ્તા અનાજના વેપારીઓ કે જેમની બિલકુલ જવાબદારી નથી થતી તેઓ પર દબાણ લાવી અને આ કામગીરી કરાવવા માટે સરકાર મથામણ કરે છે. વચ્ચે એક વખત વેપારીઓ પાસેથી આ કામગીરી લઈ અને પોસ્ટ વિભાગને સોપવામાં આવી પરંતુ ત્યાં પણ કાંઈ ભલીવાર ન થઈ અને ફરી પાછું પીડીએસ પ્લસ નામની એપ્લિકેશન દ્વારા સસ્તા અનાજ દુકાનદારો પર કામગીરી કરવા માટે રાજ્યના ઘણા તાલુકાઓમા ધોંસ જમાવવામાં આવે છે. આ અગાઉ જ્યારે દુકાનદારોને કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે કાર્ડ દીઠ ઈકેવાયસી કરવાના પાંચ રૂપિયા કમીશન આપશું એવું સમજાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી આ બાબતે નથી કોઈ હિસાબ કરવામાં આવ્યો કે નથી કોઈ જાતના નાણાં ચૂકવવામાં આવ્યા. આ જ કામગીરી માટે પોસ્ટ ખાતા સાથે સસ્તા અનાજના વેપારીઓથી પાંચ ગણું વધારે એટલે કે એક કેવાયસી દીઠ 25 રૂપિયા કમિશન આપવાનું ઠરાવવામાં આવ્યું છે. એક જ કામગીરી માટે બે જુદી જુદી એજન્સીઓની વચ્ચે એક સરખી કામગીરીના કમિશનમાં આટલો મોટો તફાવત રાખીને સરકાર ભેદભાવ કરી રહી છે. સરકાર દુકાનદારોને દબાવીને ઓછા પૈસે કામ કરવા માટે પોતાની બ્યુરોકસી દ્વારા વેપારીઓને મિટિંગમાં બોલાવી અને ધમકાવીને આ કામગીરી કરાવવા માંગતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જ્યારે નજીવા કમિશનમાં કામ કરતાં દુકાનદારની વાત ક્યારેય આ વહીવટ તંત્ર સાંભળતું નથી. દુકાનદારો પહેલેથી જ અનેક સમસ્યાઓ સાથે કામ કરી રહ્યા છે એમાં આ ઈકેવાયસીની જટિલ પ્રક્રિયામાં વેપારીઓને ફરીથી જોડવા માટે સરકાર એના અધિકારીઓ દ્વારા દમન ગુજારશે તેવો વેપારીઓને ભય સતાવી રહ્યો છે .આ અગાઉ પણ અનેક વખત આધાર કાર્ડના ઉઘરાણા કરીને પણ સરકાર આજ દિવસ સુધી પોતાનો રેશનકાર્ડનો ડેટા શું વ્યવસ્થિત કરી શકી નથી.? રેશનકાર્ડ ધારકોના નામ સામે આધાર કાર્ડનુ મેપિંગ કરવાની કામગીરી પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી. આ કામગીરીમા પોલમ પોલના કારણે આ ઈકેવાયસીની કામગીરી કરવાની જરૂર પડી છે. જે સરકાર પોતાની અગાઉની નિષ્ફળતા છુપાવવા માટે આ કાર્ય કરી રહી હોવાનું સસ્તા અનાજના વેપારીઓ જણાવે છે. ઈકેવાયસીની કામગીરી સારી બાબત છે સરકારનો ડેટા સુધરશે. ડુપ્લીકેટ અને ભૂતિયા નામો નીકળી જશે. પરંતુ આવી કામગીરી માટે સરકાર છેલ્લા બે વર્ષથી જુદી જુદી એજન્સીઓ દ્વારા કામ કરાવવા માટે હવાતીયા મારી રહી છે છતાં કોઈ નક્કર પરિણામ મેળવી શકી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application