આપ સાંસદ સંજીવ અરોરાના ઘરે ઈડીના દરોડા

  • October 07, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે આજે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પોપટ મેનાને છૂટા મૂક્યા છે. આજે સવારથી ઈડીના અધિકારીઓ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના ઘરે દરોડા પાડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં તેઓએ અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડ્યા, મારા ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા પણ કોઈ જગ્યાએથી કંઇ જ મળ્યું નહીં.
મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યું કે પીએમ મોદીની એજન્સીઓ એક પછી એક નકલી કેસ તૈયાર કરવા માટે મથી રહી છે. આ લોકો આમ આદમી પાર્ટીને તોડવા માટે કોઈપણ હદ સુધી જશે પરંતુ તેઓ ગમે તેટલી કોશિશ કરે આમ આદમી પાર્ટીના લોકો ન તો અટકશે ન તો વેચાઈ જશે કે ન ડરશે.
મનીષ સિસોદિયાનું આ નિવેદન આપ સાંસદ સંજીવ અરોરાના ઘર પર ઈડીના દરોડા પછી આવ્યું છે. તેમણે ભાજપ્ને ચેતવણીના સૂરમાં કહ્યું કે આનાથી કંઈ થવાનું નથી. ભાજપ વિરુદ્ધ અમારું અભિયાન પહેલાની જેમ જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કેજરીવાલ છ મહિના જેલમાં હતા ત્યારે પણ લોકોએ જોયું કે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. દિલ્હીમાં ગટરની હાલત ખરાબ છે. આજે દિલ્હીના લોકોને લાગે છે કે કેજરીવાલ વિના દિલ્હી મુશ્કેલીમાં છે.
રવિવારે જનતા અદાલતમાં લોકોને સંબોધિત કરતી વખતે મનીષ સિસોદિયાએ પીએમ નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે, આ બધું કરાવીને તમને શું મળ્યું? દેશના ઈતિહાસમાં આજ સુધી કોઈ નેતા એવો નથી. જેણે વિપક્ષી પાર્ટીઓને ખતમ કરવા માટે લોકોના કામ અટકાવ્યા હોય.
ભાજપ્ના નેતાઓએ દિલ્હીની જનતાની માફી માંગવી જોઈએ. જો તે માફી માંગવામાં સંકોચ અનુભવતા હોય તો દેશવાસીઓને વચન આપો કે તે ભવિષ્યમાં આવું નહીં કરે. તેમણે પીએમને કહ્યું કે તમારી નિવૃત્તિમાં એક વર્ષ બાકી છે, કંઈક સારું કામ કરીને જાઓ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application