મકરસંક્રાંતિ પુરી થઇ ગયા બાદ પણ હજુ ઠંડીએ પોતાનો અડીંગો છોડયો નથી, સતત ટાઢને કારણે જામનગરના લોકોના જનજીવન પર ભારે અસર થાય છે ત્યારે સતત ત્રીજા દિવસે પણ ગાઢ ધુમ્મસ જોવા મળી છે, જેનાથી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, શહેરમાં રસ્તાઓ ભીના થયા હતાં અને ઠંડો પવન પણ ફુંકાયો હતો, હજુ પણ ઠંડીનું જોર ચાલું રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૦ થી ૧૫ કિ.મીની ઝડપ રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે.
રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે. જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ચારેકોર ટાઢ હી ટાઢ જોવા મળે છે, બપોરના ભાગમાં પણ ઠંડી જોવા મળે છે ત્યારે જનજીવન પર ભારે અસર થઇ છે, બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે, વ્હેલી સવારના એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી છે.
છેલ્લા અઠવાડીયાથી ખાનગી અને સરકારી હોસ્પિટલની ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધુ આવ્યા છે, ખાસ કરીને શરદીના કેસોનું પ્રમાણ ગામડાના પીએચસી કેન્દ્રોમાં પણ જોવા મળ્યું છે. આવનારા દિવસોમાં પણ ઠંડી વધશે એટલે રોગચાળો વધશે તેમ દેખાય છે.