ધંધામાં રોકાણના આપેલા ૪.૧૦ કરોડ વસુલવા જપ્તી દાવો કોર્ટે ફગાવી દીધો

  • April 14, 2025 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં જમીન મકાનના ધંધામાં ભાગીદારી માટે આપેલા રૂ. 4.10 કરોડ પરત નહીં કરવા બાબતે રકમ વસુલવાના ભાગીદારની મિલ્કત જપ્તી દાવા અરજી વાદી વહેવાર સાબિત નહીં કરી શકવાને કારણે અદાલતે ફગાવી દીધી છે.

આ અંગેની હકીકત મુજબ, પોપટપરા શેરી નં. ૧૪માં રહેતા આપાભાઈ વિરાભાઈ આહીરે જમીન મકાનના ધંધાર્થી ભાદાભાઈ દેવરાજભાઈ અકબરીની સામે રૂપિયા 4.10 કરોડ મિલ્કતોમાં રોકાણ કરવા અને ભાગીદારીમાં ધંધો કરવા માટે ઉછીના આપેલા અને તે રકમ પરત કરવા ભાદાભાઈએ ચાર ચેકો આપ્યા હતા. જે ચેકો બેંકમાં વટાવવા માટે નાખતા અપુરતા નાણાં ખાતામાં હોવાને કારણે રિટર્ન થતાં આપાભાઈએ આ રકમ વસુલ મેળવવા માટે ભાદાભાઈની મિલ્કતો જપ્તીમાં લેવા માટેનો દાવો રાજકોટની સિવિલ કોર્ટમાં દાખલ કર્યો હતો. સાથે સાથે ચેક રિટર્નની જુદી જુદી ચાર ફોજદારી ફરીયાદો પણ કરી હતી અને ભાદાભાઈએ પણ આપાભાઈની સામે વ્યાજ વટાવ અંગેની ફોજદારી ફરીયાદ પ્ર.નગર પોલીસ સ્ટેશન નોંધાવી હતી.

ચેક રિટર્નની ફરિયાદોમાં લેણું સાબિત માની અદાલતે ભાદાભાઈને સજા કરેલી, તેની સામે કરેલી અપીલમાં સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખેલ. જે બાદ હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવેલી, જે હાલ પેન્ડિંગ છે. દરમિયાન આપાભાઈએ દાખલ કરેલ સિવિલ દાવો ચાલવા પર આવતા બંને પક્ષકારોની દલીલો બાદ સિવિલ કોર્ટે વાદીનો દાવો રદ કરતા ઠરાવેલ કે, આ દાવાના પ્રતિવાદીએ વાદીને માત્ર ચેકો આપેલા છે તેટલું જ સાબિત થાય છે, પરંતુ આ ચેકોથી વાદી પ્રતિવાદી પાસે રૂપિયા ૪.૧૦ કરોડ માંગતા હતા તેવું વાદી સાબિત કરી શકતા ન હોય તેથી વાદીનો દાવો રદ કરાયો છે. આ કેસમાં પ્રતિવાદી વતી એડવોકેટ અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application