આજના ડિજિટલ યુગમાં આપણી સવાર ગુડ મોર્નિંગના મેસેજથી લઈને રાતની તમામ વાતો વૉટ્સએપ (WhatsApp) પર જ પૂરી થાય છે. હવે આ પ્લેટફોર્મ આપણી જિંદગીનો એટલો મહત્વનો હિસ્સો બની ગયું છે કે તેની અંદર આવતો એક નાનકડો ફેરફાર પણ કરોડો લોકોને સીધી અસર કરે છે. તાજેતરમાં જ વૉટ્સએપ એક નવું ‘યુઝર આઈડી’ (User ID) ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ લોન્ચ થાય તે પહેલાં જ આ ફીચર હવે સરકારની રડારમાં આવી ગયું છે.
સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપના આગામી નવા ફીચરને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વૉટ્સએપ દ્વારા યુઝર્સની સુવિધા માટે લાવવામાં આવી રહેલા ‘યુઝર આઈડી’ ફીચરની કેન્દ્ર સરકાર બારીકાઈથી તપાસ કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવા ફીચરના કારણે ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડના કેસોમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે ડિજિટલ સુરક્ષા અને ગોપનીયતા (Privacy) ના પાસાઓનો ઊંડો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. જો આ તપાસમાં કોઈ ખામી કે સુરક્ષામાં ચૂક જણાશે, તો વૉટ્સએપની પેરેન્ટ કંપની ‘મેટા’ (Meta) ને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી શકે છે.
શું છે આ નવું ‘User ID’ ફીચર અને કેમ ઉઠ્યા સવાલ?
હાલમાં વૉટ્સએપ વાપરવા માટે આપણે આપણો પર્સનલ મોબાઈલ નંબર અન્ય વ્યક્તિને આપવો પડે છે. યુઝર્સની પ્રાઈવસી જાળવવા માટે વૉટ્સએપ ઇન્સ્ટાગ્રામ કે એક્સ (ટ્વિટર) ની જેમ ‘યુઝર આઈડી’ સિસ્ટમ લાવી રહ્યું છે, જેમાં નંબર વગર પણ માત્ર આઈડી સર્ચ કરીને વાત થઈ શકશે. પરંતુ સરકારને આ સુવિધામાં મોટું જોખમ દેખાઈ રહ્યું છે.
ઓળખ છુપાવવી સરળ બનશે:
સાયબર ક્રિમિનલ્સ અને ઓનલાઈન ફ્રોડ કરનારા તત્વો નકલી યુઝર આઈડી બનાવીને સામાન્ય નાગરિકોને સરળતાથી શિકાર બનાવી શકશે અને ગુનો કર્યા પછી આઈડી ડિલીટ કરીને ગાયબ થઈ જશે.
ટ્રેકિંગમાં મુશ્કેલી:
મોબાઈલ નંબર ન હોવાના કારણે પોલીસ કે સાયબર ક્રાઈમ એજન્સીઓ માટે ગુનેગારના લોકેશન કે અસલી ઓળખ સુધી પહોંચવું વધુ પડકારજનક બની શકે છે.
ડેટા સિક્યોરિટી:
ભારતીય યુઝર્સનો ડેટા કેટલો સુરક્ષિત રહેશે અને કંપની આ આઈડીનું વેરિફિકેશન કેવી રીતે કરશે?
ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ પર રોક:
લોન્ચિંગ પહેલાં જ એવા સેફગાર્ડ્સ (સુરક્ષા કવચ) તૈયાર કરાવવા જેથી કોઈ આ ફીચરનો દુરુપયોગ ન કરી શકે.
ટેકનોલોજી જ્યારે પણ આપણી પ્રાઈવસી વધારવાનો દાવો કરે છે, ત્યારે સાયબર ગઠિયાઓ માટે ચોરીના નવા રસ્તા પણ ખુલી જતા હોય છે. આજે ઘરમાં બેઠેલા વડીલો કે ટેકનોલોજીથી બહુ માહિતગાર ન હોય તેવા સામાન્ય લોકો એક નાનકડી લિંક કે અજાણ્યા મેસેજનો ભોગ બનીને પોતાની આખી જિંદગીની મૂડી ગુમાવી દેતા હોય છે. એવામાં સરકારની આ એડવાન્સ તકેદારી ખરેખર આવકારદાયક છે. સુવિધા ભલે થોડી મોડી મળે, પણ તે સુરક્ષિત હોવી સૌથી વધુ જરૂરી છે.