કેનેડામાં નોકરી કરી રહેલા અને પીઆરની રાહ જોઈ રહેલા ભારતીયોને મોટો ઝટકો લાગ્યો છે. કેનેડાના ઓન્ટારિયો સરકારે અચાનક પોતાના સ્કિલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમ બંધ કરી દીધું છે. આ સાથે જ આ પ્રોગ્રામ હેઠળ સબમિટ કરાયેલી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ અરજીઓ છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ હતી. સરકારનું કહેવું છે કે લોકોને તેમની ફી અને ફાઇલો પરત કરી દેવામાં આવશે.
આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીયો પર પડી છે, કારણ કે કેનેડાના સ્કિલ્ડ ટ્રેડ્સ સેક્ટરમાં ભારતીય વર્કર્સની સંખ્યા સૌથી વધુ છે અને હજારો લોકો આ સ્ટ્રીમ દ્વારા પીઆર મેળવવાની આશા રાખીને બેઠા હતા. ફગાવી દેવામાં આવેલી અરજીઓની સંખ્યા પણ હજારોમાં છે.
આ નિર્ણય ઓન્ટારિયો(કેનેડા)ના ઇમિગ્રેશન પ્રોગ્રામ ઓઆઇએનપી (ઑન્ટારિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ) દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે પોતાની 'એક્સપ્રેસ એન્ટ્રી: સ્કિલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમ'ને તાત્કાલિક રોકી દીધી છે. આ સાથે જ આ સ્ટ્રીમમાં હવે કોઈ નવી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. પહેલાથી જ પ્રક્રિયામાં રહેલી અરજીઓ પરત કરી દેવામાં આવી છે.
ઓન્ટારિયો સરકારનું કહેવું છે કે, આ સ્ટ્રીમમાં વ્યાપક પ્રમાણમાં ખોટી જાણકારી અને ફ્રોડ થઈ રહ્યો હતો. સ્ટ્રીમની વર્તમાન રૂપ-રેખા એવી છે કે, તેનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેથી ઓન્ટારિયોએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કેનેડામાં ટ્રે઼ડ વર્કર્સ તરીકે ભારતીયો સૌથી મોટી કમ્યુનિટીમાં આવે છે. જેમ કે, ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, કન્સ્ટ્રક્શન વર્કર અને ઓટોમોટિવ ટેકનિશિયન. આ સેક્ટર્સમાં ઘણા ભારતીયો કામ કરી રહ્યા છે અને પીઆરનો સૌથી સરળ રાહ સ્કિલ્ડ ટ્રેડ કેટેગરી જ માનવામાં આવતી હતી. હવે જ્યારે આ પ્રોગ્રામ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હજારો ભારતીયોની PR માટેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મોટી સંખ્યામાં ભારતીય સ્ટૂડન્ટ વિઝા પણ રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે