રાપરના હમીરપર ગામે જમીનના ઝઘડામાં પાંચની હત્યાના આરોપીના જામીન મંજુર

  • May 27, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કચ્છના હમીરપર ગામે જમીનની અદાવતમાં સામૂહિક સશસ્ત્ર હુમલામાં પાંચ સગા સંબંધીની થયેલી હત્યાના અતિ ચકચારી ગુન્હામાં પકડાયેલા રાપરના ક્ષત્રીય આગેવાનના જામીન ભચાઉ સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે.

આ અંગેની હકીકત મુજબ, કચ્છના હમીરપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીન બાબતે ચાલતા જુના ઝઘડાએ રૌદ્ર રૂપ ધારણ કરતા બે વર્ષ પહેલા ફરીયાદી રમેશ ભવાનભાઈ રાજપુત તથા તેના પરીવારજનો પોતાની વાડીએ સ્કોર્પિયો ગાડીમાં જતા હતા ત્યારે બપોરના સમયે આરોપીઓએ ફીલ્મી ઢબે સ્કોર્પિયો ગાડીના આગળના ભાગે ટ્રેકટર ભટકાડી ગાડી ઉભી રખાવી રોડ બ્લોક કરી દઇને મહિલાઓ સહિતના સશસ્ત્ર લોકોએ સ્કોર્પિયોમાં બેઠેલા પરિવારજનો ઉપર લાકડી, ધારીયા, બંધુક જેવા હથિયારોથી હુમલો કરતા હુમલામાં ફરીયાદીના સગાઓ અખા જેસિંગભાઈ ઉમટ, પેથાભાઈ ભવનભાઈ રાઠોડ, અમરા જેસંગભાઈ ઉમટ, લાલજી અખાભાઈ ઉંમટ તથા વેલા પાંચાભાઈ ઉમટના એમ પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નિપજાવ્યા અંગે રમેશ ભવાનભાઈ રાજપુતની ફરિયાદ ઉપરથી ૨૨ લોકો વિરૂધ્ધ હત્યા, ધાડ, લૂંટ, રાયોટિંગ તથા આર્મસ એકટ સહિતનો ગુન્હો નોંધાયો હતો.

એક સાથે પાંચ લોકોની હત્યા અંગે પોલીસે ફરીયાદમાં જણાવેલ ત્રણ મહિલા સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરેલ હતા, જે દરમ્યાન આરોપી ભગુભા વાઘેલાએ ભચાઉની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી, જેમા મુખ્યત્વે એવી રજુઆત કરવામાં આવેલ હતી કે, આરોપી ભગુભા બનાવ સ્થળે હાજર ન હોવા છતાં જુની અદાવતના કારણે ખોટી રીતે તેમનું નામ સંડોવી દીધેલ છે. જે સંદર્ભે અગાઉ આરોપીના પુત્રએ નાર્કોટેસ્ટ કરાવવા તેમજ સી.બી.આઈ. પાસે તપાસ કરાવવા માટે પણ તૈયારી દર્શાવેલ હતી, તેમ છતાં પોલીસે ધરપકડ કરેલ હોવાના એકમાત્ર કારણથી આરોપી ઘણા સમયથી જેલમાં રહેલા છે. જેથી આરોપીને વિશેષ સમય જેલમાં રાખવાથી પ્રિ-ટ્રાયલ પનિશમેન્ટ સમાન કૃત્ય બની રહે તેમ હોય, જેથી આરોપીને જામીન પર મુકત કરવા સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ ટાંકી વિસ્તૃત રજુઆતો કરવામાં આવી હતી.

તમામ પક્ષકારોની રજુઆતોના અંતે અદાલતે આરોપીઓ તરફે થયેલ દલીલો સાથે સંમતી દર્શાવી આરોપી ક્ષત્રિય અગ્રણી ભગુભા હસુભા વાઘેલાને ગુજરાત રાજયની હદ ન છોડવા અને કેસમાં નિયમીતપણે હાજર રહેવા સહીતની શરતોને આધીન જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો. દરમિયાન ફરીયાદપક્ષે જામીનનો હુકમ વડી અદાલતમાં પડકારવા માંગતા હોવાનું જણાવી

જામીનનો હુકમ ચાર અઠવાડીયા પુરતો મોકુફ રાખવા અરજી કરી હતી, ફરિયાદ પક્ષની જે અરજીની સામે આરોપી તરફે સર્વોચ્ચ અદાલતના ચુકાદા પર આધાર રાખી અરજી ટકવાપાત્ર જ ન હોવાની આરોપીના વકીલની દલીલો ધ્યાને લઈને ફરીયાદ પક્ષની જામીનનો હુકમ મોકુફ રાખવાની અરજી નામંજુર કરવામાં આવી છે. આ કામમાં આરોપી વતી પ્રખર ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, હરેશ કાંઠેચા, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, રોહન જટાવડીયા રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application