ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ પૂરો થયા બાદ આજે મતગણતરી થઇ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત 15 મહાનગરપાલિકાઓમાં કુલ 1044 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જામ્યો હતો.
15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ થયો છે. નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ થયા હતા.
આ લખાય છે ત્યારે ત્રણ વાગ્યે અમદાવાદમાં કુલ ૧૯૨ બેઠકમાંથી ભાજપને ૫૪ બેઠક પર જીત પ્રાપ્ત થઇ હતી જયારે કોંગ્રેસ ખાતું ખોલાવી શકી ન હતી. સુરતમાં કુલ ૧૨૦ બેઠકમાંથી ૨૦ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો જયારે કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ હતી. વડોદરામાં કુલ 76 બેઠકમાંથી ભાજપને ૨૨ બેઠક પ્રાપ્ત થઇ હતી. કોંગ્રેસ શૂન્ય પર રહી હતી.રાજકોટમાં 72 બેઠકમાંથી ભાજપને ૨૨ જયારે કોંગ્રેસને 4, જામનગરમાં 64 બેઠકમાંથી ભાજપને 8 જયારે કોંગ્રેસને 6 બેઠક, વાપીમાં ૫૨ બેઠકમાંથી ભાજપને ૨૪ તેમજ કોંગ્રેસને 4 અને સુરેન્દ્રનગરમાં ૫૨ બેઠકમાંથી ભાજપને ૧૬ તથા કોંગ્રેસને ૩ બેઠક પર વિજય પ્રાપ્ત થયો હતો.
નવસારીની મનપા ચૂંટણીમાં ભાજપે એક ચમત્કારિત જીત મેળવી છે. 13 વોર્ડની 52 બેઠકમાં યોજાયેલા મતદાનમાં 50 બેઠકો પર ભાજપે જીત મેળવીને ઈતિહાસ રચી દીધો છે. જ્યારે માત્ર 2 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. વાપીમાં બાવન બેઠકોમાંથી ૨૪ બેઠક પર ભાજપનો વિજય થયો હતો જયારે ચાર બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. આણંદ મહાનાગરપાલિકાની 52માંથી 41 બેઠકોનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ભાજપની 36, કોંગ્રેસની 4 અને 1 બેઠક પર અન્યની જીત થઈ છે. હવે ટૂંક સમયમાં તમામ બેઠકોના પરિણામની સ્પષ્ટતા થવાને આરે છે.
ગરમીના તાપ વચ્ચે યોજાયેલા મતદાનમાં 15 મહાનગરપાલિકાઓમાં આશરે 55.1 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે નગરપાલિકાઓ અને પંચાયતોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર જેવી મોટી મહાનગરપાલિકાઓ સાથે નવી રચાયેલી મહાનગરપાલિકાઓ જેમ કે વાપી, નવસારી, મોરબી, નડીયાદ, સુરેન્દ્રનગરમાં પણ કાંટાના ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર કર્યા હતા.