રાજકોટ મહાપાલિકામાં નવી ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ નિયુક્ત થયા બાદની આજે પ્રથમ જનરલ બોર્ડ મિટિંગ મળી હતી જેમાં પ્રશ્નકાળના પ્રથમ ક્રમે વોર્ડ નં.૧૪ના ભાજપના કોર્પોરેટર કેતનભાઇ પટેલે આવાસોના બાકી હપ્તા અંગે અને ખાસ કરીને અને ટાઉન પ્લાનિંગ શાખાને લગતા પ્રશ્નો અંગે તડાપીટ બોલાવી હતી, કેતન પટેલે પૂછેલા પ્રશ્નોનો જવાબ ટાઉન પ્લાનિંગ ઓફિસર આપી શક્યા ન હતા. અંતે કમિશનરે વિસ્તૃત માહિતી તૈયાર કરી બે દિવસમાં જવાબ આપવાની ખાતરી આપવી પડી હતી.
ભાજપના કોર્પોરેટર કેતન પટેલે એવો સવાલ ઉઠાવ્યો હતો કે, તમામ વોર્ડમાં કેટલા દબાણ ગ્રસ્ત પ્લોટ આવેલા છે જેના જવાબમાં મનપા અધિકારીએ કહ્યું, બે દિવસમાં અહેવાલ તૈયાર કરીને આપીશું ! અનેક પ્રશ્નોમાં અધિકારીઓએ કહ્યું, જવાબ તૈયાર કરીને બે દિવસ બાદ આપીશું. એકંદરે ટાઉન પ્લાનિંગ ઓફિસર જવાબો આપી શક્યા ન હતા તે સભામાં પુરવાર થયું હતું.
કોર્પોરેટર કેતન પટેલે એવો પ્રશ્ન પૂછયો હતો કે મનપાના કેટલા સરકારી પ્લોટમાં દબાણો છે?અત્યાર સુધીમાં દૂર કરેલા દબાણોનું લિસ્ટ આપો. ત્યારે કમિશ્નરે કહ્યું બે દિવસમાં માહિતી તૈયાર કરી ઉપલબ્ધ કરાવીશું. મનપા કમિશ્નર તુષાર સુમેરાએ એવો ખુલાસો કર્યો હતો કે
જનપ્રતિનિધિઓ લેખિતમાં જે પ્રશ્નો પૂછશે તેના જવાબ અમે તૈયાર કર્યા છે, પેટા પ્રશ્નોના જવાબ અમે બાદમાં તૈયાર કરી આપીશું. આ મામલે કેતન પટેલે ટોણો માર્યો હતો કે, અમારા પ્રશ્નો ફૂલવડા જેવા તાજા નહીં હોઈ પાંચથી દસ વર્ષ જૂના જ આવશે. અધિકારીઓને ખબર ન હોઈ તેવું બની ન શકે !