બનાસકાંઠાના ડીસા તાલુકાના રામપુરા (દામા) ગ્રામ પંચાયતમાં આજે એસીબી (Anti-Corruption Bureau) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પંચાયતના તલાટી કમ મંત્રી કીર્તિ કુમાર રામાભાઇ પ્રજાપતિને ₹૧૫,૦૦૦ની લાંચ લેતા પંચાયત કચેરીમાં જ દબોચી લેવામાં આવ્યા છે. વિકાસના કામોના નાણાં છૂટા કરવા માટે 'કમિશન' માંગવું તલાટીને ભારે પડી ગયું છે.
શું હતી સમગ્ર ઘટના?
ગામના વિકાસ માટે જ્યારે કોઈ નાગરિક મહેનત કરે છે, ત્યારે સરકારી તંત્રમાં બેઠેલા કેટલાક લોકો તેને પોતાની કમાણીનું સાધન સમજી લે છે. ફરિયાદીએ રામપુરા ગામે '૧૫મા નાણા પંચ' અંતર્ગત વિકાસના કામો કર્યા હતા. આ કામોના બિલો મંજૂર કરવા અને તેના નાણાં છૂટા કરવા માટે તલાટીએ ફાઈલ અટકાવી હતી. તલાટી કીર્તિ કુમાર પ્રજાપતિએ આ બિલો પાસ કરવાના બદલામાં ટકાવારી (કમિશન) પેટે ₹૧૫,૦૦૦ની ગેરકાયદેસર માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા, તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને ભ્રષ્ટાચારી કર્મચારીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
એસીબીનું છટકું અને ધરપકડ
ફરિયાદના આધારે આજે ૪ મે ૨૦૨૬ના રોજ રામપુરા (દામા) ગ્રામ પંચાયત કચેરી ખાતે જ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. તલાટીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની ખાતરી કરી. જેવી તલાટીએ ₹૧૫,૦૦૦ની રકમ સ્વીકારી, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રકમ સાથે ઝડપી લીધા. એસીબીએ આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.