રાજકોટ એસટી બસ પોર્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એસી બસ શરૂ થશે
રાજકોટ એસટી બસ પોર્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એસી બસ શરૂ થશે
May 13, 2026 11:44 AM
રાજકોટ એસટી બસ પોર્ટ ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એસી બસ શરૂ કરવા પ્લાનિંગ રજૂ કરાયું છે, ટૂંક સમયમાં મંજૂરી મળી જતા નવો બસ રૂટ શરૂ થશે. આ ઉપરાંત રાજકોટ-વડોદરા રૂટ ઉપર વધુ ત્રણ વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરાયું છે. વિશેષમાં રાજકોટના વોલ્વો ડેપો મેનેજર ઠુમ્મરે જણાવ્યું હતું કે, અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વોલ્વો બસ સેવા શરૂ કરાઇ હતી પરંતુ તત્કાલિન સમયે પૂરતી માત્રામાં ટ્રાફિક નહીં મળતા સેવા બંધ કરી હતી. દરમિયાન હવે મુસાફર જનતામાંથી ફરી ડિમાન્ડ આવતા રાજકોટ એસટી બસ પોર્ટ ખાતેથી એસી કોચ શરૂ કરવા મંજૂરી માંગવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ વડોદરા વાયા આણંદ, ખેડા, નડિયાદ રૂટ ઉપર હાલ ત્રણ વોલ્વો સેવામાં છે જેમાં રાજકોટથી વડોદરાની ટિકિટ રૂ.૭૫૪ છે.રાજકોટ-વડોદરા રૂટ ઉપર ટ્રાફિક વધુ રહેતો હોય આગામી દિવસોમાં વધુ ત્રણ વોલ્વો મૂકવા માંગણી દરખાસ્ત રજૂ કરાઇ છે, જેને મંજૂરી મળતાની સાથે તુરંત શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ દાહોદ રૂટ ઉપર પણ એસટીની એસી કોચ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.