ચોટીલા થાનગઢ પંથકનાં ખનીજ માફિયાઓ દ્રારા કરવામાં આવતા બેફામ ઉત્ખનનનું વધુ એક ભયાનક પરિણામ સામે આવ્યું છે. ચોટીલાના પાજવાળી ગામનો ૨૧ વર્ષીય આશાસ્પદ યુવાન સંજયભાઈ પન્નાભાઈ, વાવડી ગામની સીમમાં ખનીજ માફિયાઓએ ખોદી નાખેલી અને પાણીથી ભરેલી જોખમી ખાણમાં ન્હાવા પડતાં ડૂબી ગયો છે. ઘટનાની વિગતવાર મળતી વિગતો મુજબ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આશરે ૨૧ વર્ષિય સંજયભાઈ ચોટીલા–થાનગઢ વચ્ચે વાવડી ગામની સીમમાં આવેલી ખાણના પાણીમાં ન્હાવા પડો હતો. મોડે સુધી તે ઘરે ન પરત ફરતાં અને ખાણ નજીક તેનું બાઇક પડેલું હોવાની જાણ સગા–સંબંધીઓ દ્રારા તેના ભાઈને કરવામાં આવતા પરિવાર ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખાણના કિનારેથી સંજયના કપડાં, મોબાઈલ, બાઇક અને ચપ્પલ મળી આવતા તે પાણીમાં ડૂબ્યો હોવાની આશંકા દ્રઢ બની હતી. યુવાનને શોધવા માટે સ્થાનિક તરવૈયા, ચોટીલા ફાયર બ્રિગેડની ટીમ, સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ સહિતના તંત્રે મોડી રાત સુધી ભારે જહેમત ઉઠાવી હતી.ખાણમાં અતિશય ઐંડું પાણી અને નીચે માટી–કાદવ હોવાના કારણે શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ૧૮ કલાક બાદ પણ યુવકનો પત્તો ન લાગતાં કોઈ અજુગતું બન્યું હોવાની આશંકા પ્રબળ બની છે.ગૂમ થયેલો સંજય તેના પરિવારના ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. હજુ થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. લના અરમાનો વચ્ચે અચાનક સર્જાયેલી આ હોનારતને પગલે પાજવાળી ગામ હિબકે ચડું છે. સ્થાનિકોમાં ખનીજ માફિયાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.