‘જાડા’ના રુા.૧.૧૬ કરોડના અનુદાનથી બનશે નવું પ્રા. આરોગ્ય કેન્દ્ર

  • March 21, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ત્રણ જગ્યાએ બની રહેલી અદ્યત્તન હૉસ્પિટલથી દોઢ લાખ લોકોને મળશે લાભ: માર્કેટીંગ યાર્ડ પાસે, બેડી રીંગ સર્કલ રોડ અને લાલપુર રોડ ઉપર બનનારી હૉસ્પિટલ પૂરી થયાં બાદ વધુ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે

જામનગર મહાનગર પાલિકા દ્વારા લોકોનું આરોગ્ય જળવાય તે માટે પ્રયાસો શરુ કરાયા છે જેમાં ‘જાડા’ પણ જોડાયું છે. કારણ કે, જામનગર ડેવલોપમેન્ટ ઑથોરિટી દ્વારા રુા.૧.૧૬ કરોડના અનુદાનથી ૪પ-દિ.પ્લોટ ખાતે મેઘજી પેથરાજ સ્કૂલના મેદાનમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે જેનાથી હજારોને લાભ મળશે. એટલું જ નહીં જામ્યુકો દ્વારા ૩ સ્થળે નવી હૉસ્પિટલ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. જેમાં બે હૉસ્પિટલ તો થોડા મહિના બાદ ખૂલ્લી મૂકાશે અને એક હૉસ્પિટલ એકા’દ મહિનામાં ખૂલ્લી મૂકાશે તેમ જાણવા મળે છે.
જાણવા મળ્યા મુજબ સિટી ઈજનેર ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનિંગના રાજીવ જાની સહિતના અધિકારીઓ દ્વારા શહેરમાં ત્રણ હૉસ્પિટલ બની રહી છે જેમાં અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટ યાર્ડ પાસે આવેલ ટીપી સ્કીમ નં.ર, સર્વે નં.ર અને ઓરિજીનલ પ્લોટ નં.ર૧, અંતિમ ખંડ ૬૧ વાળી જગ્યામાં ૧૦ કરોડના ખર્ચે યુસીએચસી હૉસ્પિટલ બની રહી છે જે ઓગસ્ટ મહિનામાં પૂરી કરી દેવામાં આવશે.
બીજી હૉસ્પિટલ મહાકાળી સર્કલથી બેડી સર્કલ રીંગ રોડ ઉપર મયુર વાટીકા સામે રેવન્યુ સર્વે નંબર ૧૭પ વાળી જગ્યામાં રુા.૧૩.૭પ કરોડના ખર્ચે હૉસ્પિટલ બની રહી છે જે એકા’દ મહિનામાં પૂરી થઈ જશે. જ્યારે લાલપુર રોડ, પંપ હાઉસ પાછળ રેવન્યુ સર્વે નં.૧ર૧૭/ર/૧ વાળી જગ્યામાં રુા.૧૩.ર૯ કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે જે ફેબ્રુ.-રપમાં પૂરી થશે જેનાથી લગભગ બે લાખ લોકોને લાભ થશે.
જાડાના રુા.૧.૧૬ કરોડના અનુદાનથી જામનગર મહાપાલિકા દ્વારા એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે. એટલું જ નહીં બાળ આરોગ્ય કેન્દ્રને રીપેરીંગ પણ કરવામાં આવી રહ્યાં છે. પીએચસી કેન્દ્રમાં આધુનિક સગવડતા ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. બધી હૉસ્પિટલ થઈને લગભગ રુા.૩૭ કરોડનો ખર્ચ કોર્પો. કરશે તેમ જાણવા મળે છે.
નવી બનનારી ત્રણે’ય હૉસ્પિટલમાં આધુનિક સુવિધા પણ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. આ વખતે કોર્પો.એ બજેટમાં દર્શાવ્યું છે કે, વડીલ સુખાકારી યોજના પણ પાલિકા અમલમાં મૂકશે. દરેક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ૬૦ થી વધુની વયના લોકોને ઘેર જઈને તપાસણી કરવામાં આવશે. અત્યાર સુધીમાં પ૧૭૩૯ વૃદ્ધોની તપાસણી વિનામૂલ્યે કરવામાં આવી છે અને પ્રાથમિક ચકાસણી થાય ત્યારબાદ વધુ સારવાર માટે તેમને હેલ્થ એન્ડ વેલ્થ સૅન્ટર અથવા દીન દયાળ ઉપાધ્યાય ક્લિનિક ખાતે અને વધુ સારવાર ઈમરજન્સી જેવી હોય તો જીજી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે.
જામનગરમાં આરોગ્ય સેવા હવે વધુ સારી થાય એ માટે કોર્પોરેશને પણ પ્રયાસ કર્યા છે, ભૂકંપ બાદ શહેરમાં રતનબાઈ મસ્જિદ પાસે આરોગ્ય કેન્દ્ર હતું તે લાંબો સમયથી બંધ હતું આખરે એચ. જે. લાલ ટ્રસ્ટ દ્વારા અશોકભાઈ અને જીતુભાઈના સહયોગથી આ હૉસ્પિટલ બનાવી આપવામાં આવી છે, જેનો લાભ અત્યારે લોકો મેળવી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application