કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં શ્રમિક યુવાનનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણમૃત્યુ

  • February 14, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતા ગોગનભાઈ રવજીભાઈ ગાજીપરા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જીતેન્દ્ર કેશીયાભાઈ નામના ૨૧ વર્ષના આદિવાસી શ્રમિક યુવાનનો અકસ્માતે પગ લપસી જતાં અંદર પડી જવાથી ડૂબી જતાં કરુણ મૃત્યુ નીપજયું છે.
મૃતકના ભાઈ મહેશભાઈ કેશીયાભાઈ બિલોરીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
***
ભાણવડ તાલુકાના મોરજર ગામના યુવાનનો એકલવાયા જીવનથી કંટાળી જઇ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ રેલવે સ્ટેશન પાસે ભાણવડ પંથકના એક યુવાને એકલવાયા જીવનથી કંટાળી જઈ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે ભાણવડ તાલુકાના મોરજર ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા દિપક ઉર્ફે ભદો દેવાભાઈ સોંદરવા નામના ૪૫ વર્ષના યુવાને જામજોધપુર નજીક મોટી ગામ ના રેલવે સ્ટેશન પાસેની રેલવે લાઇન પર ટ્રેન હેઠળ પડતું મૂકી દઇ આપઘાત કરી લીધો છે.
આ બનાવ અંગે મૃતકના સંબંધી રાહુલ યોગેશભાઈ બગડાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ના લગ્ન થયા ન હતા અને એકલવાયું જીવન જીવતો હતો. જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
***
જામજોધપુર પંથકમાં એક વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહેલા શ્રમિક યુવાનનું ઝેરી અસર થવાથી અપમૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાનને ઉભા પાકમાં જંતુનાશક દવાનો  છંટકાવ કરતી વખતે ઝેરી અસર થવાથી અપ મૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ કુતિયાણા પંથકનો વતની અને હાલ જામજોધપુર નજીક વાડી વિસ્તારમાં અરવિંદભાઈ છગનભાઈ ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતાં સાગર માધાભાઈ ડાભી નામનો ૨૧ વર્ષનો શ્રમિક યુવાન કે જે જીરું ના ઉભા પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતો હતો, જે દરમિયાન તેને ઝેરી થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા માધાભાઈ ભુરાભાઈ ડાભીએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
***
ધરમપુરના વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો
ખંભાળિયા નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં કપટામોરા વિસ્તારમાં રહેતા અરજણભાઈ જેરામભાઈ કછટીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મૃતકના પુત્ર ગોપાલભાઈ અરજણભાઈ કછટીયા (ઉ.વ. ૪૮) અહીંની પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application