રાજકોટ સિટી બસ હિટ એન્ડ રનઃ એક વાહનચાલક બસ સાથે 50 ફૂટ દૂર સુધી ઢસડાયો, રોષે ભરાયેલા લોકોનો ભોગ પોલીસ બની, એક પોલીસમેન સાથે ધોલધપાટ

  • April 16, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજરોજ સવારના સુમારે ઇન્દિરા સર્કલ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની હતી પૂરપાટ ઝડપે ધસી આવી સાત વાહનોને લીધા હતા જેમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. અકસ્માતની આ ઘટના બાદ અહીં મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા. સવારના દસેક વાગ્યા આસપાસ બનેલી અકસ્માતની આ ઘટના બાદ રોષભેર લોકોએ ચક્કાજામ કરી દીધો હતો. બપોર સુધી ઇન્દિરા સર્કલે ભારે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી.


સવારના બનેલી અકસ્માતની ઘટના બાદ એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવસ્થળે દોડી ગયા હતા. મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડી અહીં ટ્રાફિકલીયર કરાવવાની કોશિશ કરી હતી. પરંતુ અકસ્માતની આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ હોય કલાકો સુધી લોકો અહીં ટોળે વળી ઉભા રહ્યા હતા. સવારના બનેલી અકસ્માતની ઘટના બાદ બપોર સુધી ઇન્દિરા સર્કલ પાસે ભારે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક કલીયર કરાવવા માટે અહીં ટોળે વળેલા લોકોને સમજાવટ કરી હતી. બાદમાં તેઓને કડકાઇપૂર્વક સમજાવી અહીંથી હટી જવા કહ્યું હતું. મહામહેનતે પોલીસે અહીં ટ્રાફિક કલિયર કરાવ્યો હતો.


અકસ્માતની આ ઘટનામાં ઇન્દિરા સર્કલ પાસે કોટચા ચોક તરફના રોડ પરથી આવેલી સિટી બસનાચાલકે અહીં સિગ્નલ ખુલતાની સાથે જ એકસીલેટર પર પગ મૂકી દીધો હોય તેમ પુરપાટ ઝડપે બસ હંકારી મૂકી હતી. જેથી સિગ્નલે ઉભેલા અન્ય વાહનચાલકો બસની ઝડપે આવી ગયા હતા. દરમિયાન એક વાહનચાલક બસ સાથે સિગ્નલથી લઈ ઇન્દિરા સર્કલની વચ્ચોવચ ઇન્દિરા ગાંધીની પ્રતિમા સુધી એટલે કે 50 ફૂટ દૂર સુધી બસ સાથે ઢસડાયો હતો. શરીરને ગંભીર ઈજા પહોંચતા આ વાહન ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.


સિટી બસ પર પથ્થરમારો કરી તેમાં તોડફોડ કરી હતી

સિટી બસનાચાલકે બેફામપણે બસ હંકારી ચાર ચાર વ્યક્તિઓની જિંદગી હણી લેતા અકસ્માતની આ ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. રોષે ભરાયેલા લોકોએ સિટી બસ પર પથ્થરમારો કરી તેમાં તોડફોડ કરી હતી. અકસ્માતની ઘટના બાદ અહીં એકત્ર થયેલા ટોળાઓ પૈકી કેટલાક શખ્સોએ અહીં પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પોલીસે સમજાવવાનો પ્રયાસ કરતા તે પૈકી કેટલાક શખસોએ પોલીસ સાથે ધોલધપાટ પણ કરી લીધી હતી. જો કે પોલીસે તુરંત જ મામલો શાંત પાડી દીધો હતો.


ડીસીપી બાંગરભાઈ તટસ્થ તપાસની ખાતરી આપ્યા બાદ મૃતદેહ સ્વીકાર્યા

ઇન્દિરા સર્કલ પાસે સવારના સુમારે બનેલી ગોઝારા અકસ્માતની ઘટના બાદ અહીં મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા.સિટી બસના ચાલકે આ રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ચાર ચાર માનવ જિંદગી ભરખી લેતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. દરમિયાન મૃતકોના પરિવારજનોએ અહીં રસ્તા પરથી મૃતદે સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. જેથી સ્થિતિ ભારે તંગ બની ગઈ હતી. અકસ્માતની આ ઘટનાને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા મૃતકોના પરિવારજનોને સમગ્ર બનાવ અંગે તટસ્થ તપાસની ખાતરી આપ્યા બાદ અને ભારે સમજાવટ કર્યા બાદ અંતે તેમણે મૃતદેહ સ્વીકારી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application