મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે જેમાં 700 ફૂટ ઊંડી ખીણમાં સ્કોર્પિયો ખાબકતા આઠ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, રાયગઢના આંબેનાલી ઘાટ નજીક એક સ્કોર્પિયો ઊંડી કોતરમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મહાબળેશ્વર અને પોલાદપુર વચ્ચે આવેલા આંબેનાલી ઘાટ પર આ અકસ્માત થયો હતો. સતારા જિલ્લાની સરહદ પર સ્થિત આંબેનાલી ઘાટને અત્યંત ખતરનાક માનવામાં આવે છે અને અહીં ઘણીવાર માર્ગ અકસ્માતો થાય છે. એવું માનવામાં આવે છે કે આ બધા લોકો કોંકણ અથવા મહાબળેશ્વર ફરવા માટે જઈ રહ્યા હતા. પ્રારંભિક માહિતી મુજબ, સ્કોર્પિયોમાં આઠ લોકો સવાર હતા, જે બધાના મોત થયા છે. શોધ અને બચાવ ટીમોએ બે મૃતદેહ બહાર કાઢ્યા છે. પ્રારંભિક માહિતી મુજબ સ્કોર્પિયો સતારા જિલ્લાના આસગાંવ ગામનો હતો.બાકીના મૃતદેહોની શોધ ચાલુ છે.