જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે સવારે રામનગર વિસ્તારના કાગોટ ગામ નજીક આ અકસ્માત થયો હતો. એક પેસેન્જર બસે પહાડી રસ્તા પર નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ એક દૂરના ગામથી ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે એક ભયજનક વળાંક પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે.
ઘટના બાદ, ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી વહીવટીતંત્ર અને પોલીસની ટીમોએ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. વિસ્તારમાં શોકનું વાતાવરણ છે અને વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
અકસ્માતને પગલે, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થા અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે અને તેઓ વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો: મૃતકના પરિવારને બે લાખ રૂપિયાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભયાનક બસ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જેમાં 20 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ ઘાયલ થયા હતા. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. વધુમાં, તેમણે જાહેરાત કરી હતી કે દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ અને દરેક ઘાયલ વ્યક્તિને રૂ. 50,000ની સહાય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે આ અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.