જામનગર શહેરમાં ૧૫ દિવસમાં પોલીસના નેત્રમ વિભાગના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ૧,૭૨૨ ઇ-ચલણ ઇસ્યૂ થય
મોબાઇલ પર વાત કરતાં વાહનચાલકોના સૌથી વધુ ૭૨૫ કેસ ઝડપાયા; ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસની અપીલ
જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોના અસરકારક અમલ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) વી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. સિંગલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે.
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર શહેરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાની મદદથી તા. ૧ જુલાઈથી ૧૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન મોટર વાહન અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કુલ ૧,૭૨૨ ઇ-ચલણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. તેમાં વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાના ૭૨૫, રોંગ સાઇડ (વન-વે)માં વાહન ચલાવવાના ૧૯૬, ત્રિપલ સવારીના ૬૩૨, આરટીઓ માન્ય નંબર પ્લેટ વગર (ફેન્સી નંબર પ્લેટ) વાહન ચલાવવાના ૧૪૯, સીટબેલ્ટ ન પહેરવાના ૧૧ તથા અન્ય પ્રકારના ૯ ગુનાઓનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું છે કે તમામ ઇ-ચલણ સ્પીડ પોસ્ટ મારફતે વાહન માલિકના આરટીઓમાં નોંધાયેલા સરનામે મોકલવામાં આવી રહ્યા છે. ઇ-ચલણની ભરપાઈ પરિહવન વિભાગની વેબસાઇટ, ગૂગલ પે અથવા ફોનપે જેવા ડિજિટલ માધ્યમથી તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રૂબરૂ જઈને પણ કરી શકાય છે. ઇ-ચલણની ભરપાઈ ૯૦ દિવસની સમયમર્યાદામાં કરવી ફરજિયાત છે. સમયમર્યાદા બાદ ભરપાઈ વર્ચ્યુઅલ કોર્ટ મારફતે કરવાની રહેશે.
જામનગર પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કામગીરીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ માર્ગ અકસ્માતો અટકાવી નાગરિકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેથી તમામ વાહનચાલકોને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, વધુ ઝડપે વાહન ન ચલાવવા, નશાની હાલતમાં ડ્રાઇવિંગ ટાળવા તેમજ તમામ ટ્રાફિક નિયમો અને સંકેતોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.