વિપક્ષી દળોની બેઠકમાં 16 પાર્ટીએ ભાગ લીધો, આપ-એનસીપી દૂર રહી

  • June 03, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઓપરેશન સિંદૂર મામલે સંસદનું ખાસ સત્ર બોલાવવા માટે નવી દિલ્હીમાં વિપક્ષી દળોની બેઠક મળી હતી. જેમાં 16 વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો હતો. ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયને માહિતી આપી હતી કે તમામ પક્ષોએ પીએમને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી બેઠકમાં હાજર રહી નહીં. ડેરેકે કહ્યું કે, આપ આવતીકાલે વડાપ્રધાનને એક અલગથી પત્ર મોકલશે.


આરજેડીના મનોજ ઝાએ કહ્યું કે પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર થયું. ભાવનાઓથી વિચારવા છતા ચિંતાના કેટલાક સંકેતો બહાર આવ્યા છે. વિશ્વના એક દેશના રાષ્ટ્રપતિ દરરોજ 'સરપંચાયત' કરી રહ્યા છે. 15 દિવસમાં 13 નિવેદનો આપ્યા. આનાથી કોઈ સરકારને દુઃખ થયું હોય કે ન થયું હોય, કોઈ રાજકીય પક્ષને દુઃખ થયું હોય કે ન થયું હોય, ભારતની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પીડા છે. આ ચર્ચા સોશિયલ મીડિયા, ટીવી ડિબેટમાં નહીં થાય. 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું.


અમે વડાપ્રધાનને વિનંતી કરી છે કે ઇતિહાસમાં કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે કોઈ બાબત દેશને આઘાત પહોંચાડે છે અને ત્યારે સંસદ જ પક્ષોની સીમાઓથી ઉપર હોય છે. આ 140 કરોડ ભારતીયોનો મુદ્દો છે. આ શાસક પક્ષ કે વિપક્ષનો મુદ્દો નથી. તે જવાબદારીનો મુદ્દો છે. સરકાર સંસદ પ્રત્યે અને સંસદ લોકો પ્રત્યે જવાબદાર છે.


પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હોવાના દાવાઓ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણે 31 મેના રોજ સિંગાપોરમાં બ્લૂમબર્ગ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાનોને તોડી પાડવામાં આવ્યા, પરંતુ તે શા માટે તોડી પાડવામાં આવ્યા?


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીડીએસ અનિલ ચૌહાણના ઇન્ટરવ્યુ ક્લિપ શેર કરતા કોંગ્રેસે લખ્યું- આ નિવેદનમાં સ્વીકારવામાં આવ્યું હતું કે આપણા ફાઇટર જેટનું નુકસાન થયું છે. તો પછી મોદી સરકાર આ હકીકત કેમ છુપાવી રહી છે? આવા ઘણા સવાલોના જવાબ આપવા માટે એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ.


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને સલાહ આપી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે પોતાના વખાણ કરવાને બદલે, પીએમ મોદીએ દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના સિવાય બીજું કોઈ આ કરી શકે નહીં.


મળતી માહિતી મુજબ આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુન્નેત્ર કઝગમ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રીય જનતા દળ, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, રિવોલ્યુશન સોશલિસ્ટ પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, વિદુથલાઈ ચિરુથૈગલ કાચી, કેરળ કોંગ્રેસ, મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી-લેનિનવાદી) લિબરેશનએ હાજરી આપી હતી.


કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે 7 સર્વપક્ષીય ડેલિગેશનને વર્લ્ડ ટૂર પર મોકલ્યા છે. આ બધા ડેલિગેશન આ અઠવાડિયાના અંત સુધીમાં ભારત પાછા ફરશે. વિપક્ષ તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે.


7 મેના રોજ, ઓપરેશન સિંદૂરના દિવસે, પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે સંસદમાં દાવો કર્યો હતો કે તેમણે એક ભારતીય ફાઇટર જેટને તોડી પાડ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ભારતના હુમલાના જવાબમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમે 5 ભારતીય ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. તેમાં 3 રાફેલ પણ હતા. બાદમાં, પાકિસ્તાને 6 ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કરવાનું શરૂ કર્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application