જામનગરમાં ૪૫ કિ.મી. ની ઝડપે પવન ફુંકાયો
તા.૧૬ના રોજ ઝાપટા અને તા.૨૩થી ૨૬ સુધીમાં ચોમાસુ બેસશે તેવી હવામાન ખાતાની આગાહી: ખેડુતોમાં વરસાદનો ઇન્તજાર
રાજયમાં ચાલી રહેલા વેસ્ટર્ન ડીસ્ટબન્સના કારણે તા.૧૩ થી ૧૫ સુધી ચોમાસાનો માહોલ શરૂ થશે, તા.૧૫ અને ૧૬ના રોજ ભારે પવન ફુંકાશે, ઉપરાંત તા.૨૩થી ૨૬ જૂન દરમ્યાન ચોમાસુ બેસી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જામનગરમાં સતત બે અઠવાડિયા સુધી સુર્યદેવતા કોપાયમાન રહ્યા છે, ગઇકાલે પણ આકાશમાંથી અંગારા વરસ્યા હતા અને મહતમ તાપમાન ૩૭ ડીગ્રીએ પહોંચ્યુ હતું. વરસાદ ધીમે ધીમે નજીક આવી રહ્યો છે, પવનની દિશા પણ બદલાઇ ચૂકી છે ત્યારે ઝડપથી વરસાદ આવે તેની ખેડુતો ઇન્તજાર કરી રહ્યા છે, ગઇકાલે જામનગરમાં મોડી સાંજે ભારે પવન ફુંકાયો હતો.
કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૭ લઘુતમ તાપમાન ૨૯, હવામાં ભેજ ૭૦, પવનની ગતિ ૪૦ થી ૪૫ પ્રતિ કિ.મી.ની ઝડપે જોવા મળી છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, લાલપુર, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, દ્વારકા, ફલ્લા, જામરાવલ, ભાટીયા, સહિતના ગામોમાં પણ વાદળા સાથે તડકો છાયો જોવા મળ્યો છે. ભેજ વધુ હોવાને કારણે બફારો વઘ્યો છે.
ગામડાઓમાં આજ સવારથી જ વાદળો છવાયા છે, જો કે ગઇકાલ સાંજથી પવનની ગતિમાં પણ વધારો થયો છે, જેથી ગરમીમાં થોડો ઘટાડો થયો છે, વિષ્લેષાંકોના મતે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડે તેવી શકયતા છે. ઉતર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ચોમાસાની સીસ્ટમમાં થોડો વિલંબ અને અવરોધ જોવા મળ્યો છે. શરૂઆતમાં ચોમાસુ ધીમે રહેશે અને ત્યારબાદ ચોમાસાની સીસ્ટમ સક્રિય બનશે.
કેટલાક ગામડાઓમાં ધીરે ધીરે પીવાના પાણીની તંગી શરૂ થઇ છે, ગઇકાલે સિંચાઇ વિભાગે એક ડેમમાંથી પાણી છોડીને કેટલાક નાના ચેકડેમો ભર્યા હતા આવી રીતે જે ગામમાં પાણીની તંગી વધુ છે ત્યાં નર્મદાના પાણીથી ચેકડેમો ભરી દેવામાં આવશે જો કે હવે માત્ર ચોમાસાને થોડા દિવસ જ બાકી છે.