યુએસ ટ્રમ્પ વહીવટી તંત્રે ચીની જહાજો પર નવી પોર્ટ ફી લાદવાની જાહેરાત કરી છે, જે ફરી એકવાર અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ વધારી શકે છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના અનુસાર, આ કર ચીનની માલિકીના, સંચાલિત અથવા નિર્માણ પામેલા જહાજો પર લાગુ થશે. આ યોજના મુજબ, ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૮ સુધી તબક્કાવાર કર વધારવામાં આવશે. શરૂઆતમાં, આ કર પ્રતિ ટન ૫૦ ડોલર હશે, જે વધીને પ્રતિ ટન ૧૪૦ ડોલર થશે. વધુમાં, પ્રતિ કન્ટેનર કર 120 ડોલરથી વધીને 250 ડોલર થઈ શકે છે.
એસસીએમપી અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે આ પગલાથી વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ વિક્ષેપિત થઈ શકે છે, ખર્ચમાં વધારો થઈ શકે છે અને અમેરિકન ગ્રાહકો પર ફુગાવાનો બોજ વધી શકે છે. તેમણે કહ્યું કે આ નીતિ અમેરિકામાં જહાજ નિર્માણ ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં સફળ થશે નહીં. યુએસટીઆરની યોજના મુજબ, દરેક જહાજ પર વર્ષમાં વધુમાં વધુ પાંચ વખત ટેક્સ વસૂલવામાં આવશે. આ કર તે બંદર પર વસૂલવામાં આવશે જ્યાં જહાજ પ્રથમ યુએસમાં પ્રવેશ કરશે, જેનાથી તે નાના બંદરોને બાયપાસ કરી શકશે નહીં.
નિષ્ણાંતો માને છે કે, આ નીતિની સૌથી વધુ અસર કોસ્કો અને ઓઓસીએલ જેવી મોટી ચીની શિપિંગ કંપનીઓ પર પડશે. શિપિંગ કન્સલ્ટન્સી વેસ્પુચી મેરીટાઇમના સીઈઓ લાર્સ જેન્સનના જણાવ્યા અનુસાર, ઓશન એલાયન્સ, જેમાં કોસ્કો, ઓઓસીએલ, એવરગ્રીન અને સીએમએ સીજીએમનો સમાવેશ થાય છે. તેમને તેમના નેટવર્કમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. તેમનો અંદાજ છે કે કેટલાક મોટા ચાઇનીઝ કન્ટેનર જહાજો માટે પ્રતિ પોર્ટ કોલ ટેક્સ 10 ડોલર મિલિયનથી વધુ હોય શકે છે. ચીનમાં બનેલા જહાજો પરનો આ ટેક્સ પ્રતિ પોર્ટ કોલ 4 મિલિયન ડોલર સુધીનો હોય શકે છે.
અમેરિકા એલએનજીથી ચાલતા વાહનો અને વિદેશી ઉત્પાદિત વાહન પરિવહનકારો પર પણ કર લાદવાની તૈયારી કરી રહ્યું છે. વિદેશી ઓટોમોબાઈલ કેરિયર્સે પ્રતિ યુનિટ 150 ડોલરનો ટેક્સ ચૂકવવો પડશે. આ મુક્તિ અવધિ પૂર્ણ થયા પછી લાગુ થશે. જોકે, યુએસટીઆરએ કેટલાક કિસ્સાઓમાં રાહત પણ આપી છે. જેમ કે નાના જહાજો (૪,૦૦૦ ટીઈયુથી ઓછા) અને ટૂંકા અંતરની સફર (૨,૦૦૦ નોટિકલ માઇલથી ઓછા)ને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈ ઓપરેટર સમાન કદના અમેરિકન જહાજનો ઓર્ડર આપે છે, તો તેને ચીની જહાજ પર કરમાંથી મુક્તિ મળી શકે છે.
યુએસટીઆરએ ચીનથી આયાત કરાયેલા શિપ-ટુ-શોર ક્રેન્સ અને કાર્ગો હેન્ડલિંગ સાધનો પર 100 ટકા સુધીના ટેરિફનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ અમેરિકાના દરિયાઈ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા તરફનું એક પગલું છે. આ નવી નીતિની અસર અંગે વૈશ્વિક ચિંતાઓ વધી રહી છે. ક્લાર્કસન રિસર્ચે 2025 માટે તેના વૈશ્વિક જહાજ નિર્માણના અનુમાનને 30 ટકા ઘટાડા સુધી સુધાર્યું છે. અમેરિકાની વેપાર નીતિઓમાં અનિશ્ચિતતાને કારણે રોકાણકારો હવે સાવધ બની ગયા છે.
વિશ્વ વેપાર સંગઠને ચેતવણી આપી છે કે વધતા ટેરિફ અને નીતિગત અનિશ્ચિતતાને કારણે 2025માં વૈશ્વિક વેપારમાં 0.2 ટકાનો ઘટાડો થઈ શકે છે, જે અગાઉના અંદાજિત 2.7 ટકા વૃદ્ધિ કરતાં ઘણો ઓછો છે. ઉત્તર અમેરિકામાં નિકાસમાં ૧૨.૬ ટકા અને આયાતમાં ૯.૬ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.
યુએસટીઆરએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે વૈશ્વિક જહાજ નિર્માણમાં અમેરિકાનો હિસ્સો માત્ર 0.1 ટકા છે, જ્યારે એકલા ચીન જ બાકીના વિશ્વ કરતાં વધુ જહાજો બનાવે છે. 2024ના ડેટા અનુસાર, ચીને નવા શિપબિલ્ડિંગ ઓર્ડરમાંથી 70 ટકા મેળવ્યા હતા, જ્યારે દક્ષિણ કોરિયાએ 17 ટકા અને જાપાને 5 ટકા ઓર્ડર મેળવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech