આબકારી વિભાગ પાસેથી લાયસન્સ લીધા બાદ વહેલી સવારે વેચાતી નીરામાં ભેળસેળની આશંકા છે

  • February 13, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સવારે દરરોજ 150 થી 170 લીટર વેચાતી નીરાનો સ્વાદ દિવસે ને દિવસે બદલાતો રહે છે, ડાયાબિટીસ વાળા લોકોને નીરો પીધા પછી સુગર વધી જાય છે, ક્યાંક આમાં ભેળસેળ તો નથી થઈ રહી ને...?



નીરા એ એક પ્રવાહી છે જે ઝાડમાંથી નીકળે છે, જેને થોડું પ્રોસેસ કરીને તેમાં થોડો ચૂનો ભેળવીને સામાન્ય લોકોને આરોગ્યપ્રદ પીણા તરીકે વેચવામાં આવે છે. પરંતુ તેની એક ખાસ વાત એ છે કે જેમ જેમ દિવસ આગળ વધે છે અને 12 વાગી જાય છે તેમ તેમ તે તાડીમાં ફેરવાઈ જાય છે એટલે કે તે એવા પીણામાં ફેરવાઈ જાય છે જેમાં નશો હોય છે. તેથી જ સ્થાનિક આબકારી વિભાગ પાસેથી વ્યસન મુક્તિ લાઇસન્સ મેળવ્યા પછી અને સરકારની પરવાનગી લીધા પછી જ તેનું વેચાણ શક્ય છે.


1956 થી, આ નીરા દક્ષિણ ગુજરાત, ખાસ કરીને જામનગર સહિત મુંબઈ, પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુમાં વેચાય છે. ત્યારે તેનો એક ગ્લાસ 15 પૈસામાં મળતો હતો, હવે એક ગ્લાસ 15 રૂપિયામાં મળે છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં તેમાંથી નશો પણ બનાવવામાં આવે છે, પરંતુ ગુજરાત દારૂ મુક્ત રાજ્ય હોવાથી આ વિષય પર કડકાઈ અપનાવવામાં આવે છે. જામનગરમાં નીરા બનાવવાનું એક કેન્દ્ર છે અને તેમાં પાંચ કારીગરો છે, હાલમાં તે જામખંભાડિયા નજીક આવેલું છે. તેનું મુખ્ય મથક વલસાડમાં છે.


જામનગરમાં નીરાનું વેચાણ કરતા પાંચ રિટેલરો છે. જો નીરો સવારે 12 વાગ્યા પછી બચી જાતો હતો તો તેને આબકારી વિભાગની દેખરેખ હેઠળ ફેંકીને તેનો નાશ કરવામાં આવતો હતો, પરંતુ હવે તેને 2 વાગ્યા સુધીમાં ઠંડુ કરીને વેચવામાં આવે છે. 2 વાગ્યા સુધી થતો આ વેચાણ કેટલો કાયદા અનુસાર છે તે તો આબકારી વિભાગ જ કહી શકશે.


નવેમ્બરથી જૂન સુધી આ પીણાની સિઝન આવે છે. તાડીના ઝાડ એટલે કે ખજૂરીના ઝાડ સાથે દિવસના 2 થી 3 વાગ્યે ઘડાઓ બાંધવામાં આવે છે અને રાત્રે 2 થી 3 વાગ્યે આ ઘડાઓને ઝાડ પરથી ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને ટેપીંગ કહેવામાં આવે છે. ઘડાની અંદર ધીમે ધીમે ટીપું ટીપું પદાર્થ ઝાડ પરથી પડતો હોય છે, આ પદાર્થને આથા કહે છે. તે એકત્રિત કરવામાં આવે છે. તેમાં 10% ચૂનાનું પાણી ભેળવવામાં આવે છે. પછી કારીગર દ્વારા તેની પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી જ નીરો તૈયાર થાય છે. તેમાં ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફોરિક એસિડ અને વિટામિન સી જેવા સારા તત્વો નો સમાવેશ હોય છે.


અમુક સમય સુધી નીરાનો ઉપયોગ ન કરવાને કારણે તે તાપમાન પ્રમાણે બદલાય છે અને આમાંથી અત્યંત માદક પદાર્થ તૈયાર થાય છે. જેને સામાન્ય ભાષામાં તાડી કહેવામાં આવે છે જે દારૂનો જ એક વિકલ્પ છે. જેને દેશી દારૂ પણ કહેવામાં આવે છે.


જામનગરમાં દરરોજ 150 થી 170 લીટર નીરા પીવામાં આવે છે. જે લોકો તેને પીવે છે તે લોકો તેના સારા ગુણોમાં વિશ્વાસ રાખે છે. પરંતુ તેની ગુણવત્તા વર્ષમાં એક જ વાર માપવામાં આવે છે. સ્થાનિક આબકારી ટીમ માર્ચ અને એપ્રિલની આસપાસ તેની તપાસ કરે છે. પરંતુ બાકીના સમયમાં તેમાં ભેળસેળનો પૂરેપૂરો અવકાશ અને શંકા રહે છે, કારણ કે નીરાનો સ્વાદ દિવસેને દિવસે બદલાતો રહે છે અને તેને પીધા પછી ઘણા ડાયાબિટીસના દર્દીઓની સુગર પણ વધી જાય છે. ક્યાંકને ક્યાંક તેની કુદરતી મીઠાશમાં ખાંડ અને પાણી ઉમેરવામાં આવે છે, તેવી શક્યતા છે.


જે રીતે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં દિનપ્રતિદિન દારૂની બોટલો મળી આવી રહી છે અને અનેક દારૂની બોટલોમાં ભેળસેળના અહેવાલો પણ સામે આવતા હોય છે, તે જ તર્જ પર ખુદ નીરા પીનારા લોકો પણ તેમાં ભેળસેળની આશંકા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેમાં ભેળસેળની બાબતની સમયાંતરે તપાસ થવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application